શ્રીનગર, તા. 2 : પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં
પાકિસ્તાની સેનાને જોરદાર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા અમુક મહિનાથી ચાલી
રહેલું વિરોધ પ્રદર્શન ધીરે ધીરે આકરું બન્યું છે. પ્રદર્શનકારીઓ સીધા પાકિસ્તાની સેનાને
પડકાર ફેંકી રહ્યા છે. જમ્મુ કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન લીગ (જેએએસી)ના નેતૃત્વમાં
થઈ રહેલા પ્રદર્શનમાં જોરદાર ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન જેએએસીના પ્રમુખ સરદાર
અમન ખાને મીનર સેનાને પડકાર ફેંકતા કહ્યું હતું કે,
પાકિસ્તાની સેના યુનિફોર્મ ઉતારીને સામે આવે તો હેસિયતનો ખ્યાલ આવી જશે.
રાવલકોટના ફારુક એ આઝમ ચોક ઉપર હજારો પ્રદર્શનકારીઓની ભીડને સંબોધિત કરતા સરદાર ખાને
પુરા પાકિસ્તાનની સમસ્યાઓ માટે નાગરીક સંગઠનોમાં સેનાની હાજરીને જવાબદાર ઠેરવી હતી.
આ સાથે નાગરીક મામલામાં સેનાના દબદબાને તરત જ ખતમ કરવાની માગણી કરી હતી. વધુમાં ભાર
મુકીને કહ્યુ હતું કે જો વર્દીધારી અધિકારીઓને પોતાના પદ અને લોકપ્રિયતાનો ઘમંડ હોય
તો સેના છોડીને જનતાની સામે આવવું જોઈએ. લોકો તમામને હેસિયત બતાવી દેશે. જેએએસી નેતાએ
ભારત તરફથી દશકોથી કરવામાં આવતા દાવાને સાચો સાબિત કર્યો હતો. પાકિસ્તાન સેના ઉપર આરોપ
મુક્યો હતો કે ભુતકાળમાં સેનાએ સ્થાનિક લોકોનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. મુઝાહિદ્દીન
બનાવવાના નામે આતંકવાદના રસ્તે લઈ ગયા છે. આજે જ્યારે સ્થાનિક લોકો પોતાના અધિકારોની
માગણી કરી રહ્યા છે, શાળા, હોસ્પિટલ જેવી
પાયાની સુવિધા માગી રહ્યા છે તો તેઓને દેશદ્રોહી અને ઉપદ્રવી કહીને ગોળી મારી દેવામાં
આવે છે.