ભુજ, તા. 28 : કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટર દ્વારા પાણી પુરવઠા
અને સ્વચ્છતાનાં કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, કચ્છ દ્વારા અગાઉ મંજૂર થયેલી યોજનાઓને સુધારા
મંજૂરી અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી યોજનાઓને સૈદ્ધાંતિક બહાલી આપવામાં
આવી હતી. આ સાથે જર્જરિત ઊંચી ટાંકીઓના ડિમોલિશન બાબતે સર્વેની કામગીરી, ટોલ ફ્રી નંબર 1916 હેઠળ આવતી
ફરિયાદોની સમીક્ષા, નિક્રિય પાણી
સમિતિઓ, પાણી સમિતિઓની પુન:રચના, અસહકાર
આપતી પાણી સમિતિઓ, જલસેવા આકલનની કામગીરી, જિલ્લામાં શહેર તથા ગ્રામ્ય સ્તરે પાણીના સ્રોત, લાંબા
ગાળાનાં પાણીનાં આયોજન તથા પાણી વિતરણ વ્યવસ્થા સહિતની કામગીરી બાબતે ચર્ચા કરી સમીક્ષા કરાઇ હતી. કલેક્ટરે વિવિધ યોજનાઓના
સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ગ્રામ્ય સ્તરે પાણી વિતરણ સુચારુ કરવા ઓપરેટરોની
નિમણૂક કરવા અને સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થાનું સંચાલન ગ્રામ પંચાયત તથા પાણી સમિતિને
સોંપવા જણાવ્યું હતું. તાલુકા દિઠ પાણી વિતરણ અને પાણીના જથ્થાની સમીક્ષા કરવામાં આવી
હતી. વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ રહેણાક મકાનો તથા તળાવ સહિતના સ્તરે થાય તે માટે
વિવિધ વિભાગોના સંકલનથી નક્કર આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં નિવાસી અધિક
કલેક્ટર પાર્થ કોટડિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી માધુરીબેન
પટેલ, પ્રાંત અધિકારી અનિલ જાદવ, ડીવાયએસપી
એમ.જે. ક્રિશ્ચિયન, પાણી
પુરવઠા બોર્ડ અને વાસ્મો સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ તથા સમિતિના સભ્યો ઉપસ્થિત
રહ્યા હતા. અન્ય પ્રાંત અધિકારીઓ તથા તાલુકા કક્ષાના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.