ભુજ, તા. 14 : દર વર્ષે 15 જુલાઈએ વિશ્વ પ્લાસ્ટિક સર્જરી
દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્લાસ્ટિક સર્જરી માત્ર સૌંદર્ય માટે નહીં, જીવનને ફરી સામાન્ય બનાવતી સર્જીકલ સારવાર છે.
અદાણી સંચાલિત ગેઈમ્સ જી. કે. જન.હોસ્પિ.ના બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં છેલ્લા
દોઢ વર્ષમાં 300 પ્લાસ્ટિક
સર્જરી કરાઈ છે. પ્લાસ્ટિક સર્જરી એ આધુનિક તબીબી વિજ્ઞાનની એવી શાખા છે જે, અકસ્માતે દાઝી જવાને કારણે ઇજા કે શારીરિક હાની
અથવા તો બીજી જન્મજાત ખામીઓ, માર્ગ અકસ્માતમાં ઈજા, ડાયાબીટીક અલ્સર, ચહેરા અને શરીરના વિવિધ ભાગોમાં જખમ પડવો, કેન્સર બાદ
શરીરના ભાગના પુન:નિર્માણની સર્જરી કરી, અનેક ગંભીર પરિસ્થિતિ
પછી પણ દર્દીઓને સામાન્ય જીવન જીવવામાં મદદરૂપ બને છે. અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના
બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ ડો.
મહાલક્ષ્મી પિલ્લાઈએ આ નિમિત્તે કહ્યું હતું કે,
છેલ્લા દોઢ વર્ષમાં 300 દર્દીની પ્લાસ્ટિક સર્જરી કરાઈ છે. દાઝી જવાના કિસ્સામાં પ્રાથમિક
સારવાર અને સમયસર પ્લાસ્ટિક સર્જરી વિભાગનો સંપર્ક કરવાથી ચેપ, વિકૃતિ અને કાયમી અપંગતા જેવા જોખમો નોંધપાત્ર
રીતે ઘટાડી શકાય છે. તેમ ઉમેર્યું હતું. પ્લાસ્ટિક સર્જરી માત્ર સૌંદર્યતા માટે નથી
પણ પુન: નિર્માણ કરવાની એક બહેતરીન સર્જરી કલા છે.- દાઝી જવાના
કિસ્સામાં શું કરવું ને શું નહીં : સંજોગો વસાત દાઝી જવાના કિસ્સામાં ઘડિયાળ, વીંટી, કપડાં જોર લગાવીને
કાઢવાને બદલે ધીમેથી દૂર કરવા, દાઝવાનું કારણ જેમકે ગરમ વસ્તુ,
આગ ને વીજળી બંધ કરવી, દાઝેલા ભાગને બરફના બદલે
ઠંડા વહેતા પાણીમાં રાખવો, કપાસને બદલે સ્વચ્છ સુતરાઉ કાપડથી
દાઝેલા હિસ્સાને ઢાંકી દેવું. ફોલ્લાં ફોડવા નહીં.બરફ,માખણ,હળદર,તેલ લગાવવું નહીં.અને 108 બોલાવી હોસ્પિટલ પહોંચવું.