ભુજ, તા. 28 : સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ
દ્વારા 2001માં કચ્છમાં આવેલા ભૂકંપથી
અસરગ્રસ્ત પરિવારો સાથે જોડાયેલી વ્યક્તિગત વસ્તુઓને `મેમરી ડિસ્પ્લે બોક્સ'માં જાળવવા અનોખી પહેલ હાથ ધરાઇ છે. આવનારી પેઢી
માટે આ સ્મૃચિહ્નો સંરક્ષિત કરી શકાય તે હેતુથી સ્મૃતિવન ટીમ દ્વારા કચ્છના નાગરિકોને
આ અભિયાનમાં જોડાવા અપીલ કરાઇ છે. સ્મૃતિવન ટીમ દ્વારા જણાવાયું હતું કે, મ્યુઝિયમમાં મેમરી ડિસ્પ્લે બોક્સ તૈયાર કરાયા છે, જેમાં
ભૂકંપ સાથે સંકળાયેલી લાગણીસભર અને ઐતિહાસિક વસ્તુઓને પ્રદર્શિત કરાશે. લોકોને અર્થસભર
વસ્તુઓ, ફોટોગ્રાફ્સ, પત્રો અથવા અન્ય સ્મૃતિચિહ્નો
જેમ કે ચશ્મા, ઘડિયાલ, રૂમાલ, હેન્ડ એમ્બ્રોઈડરી વસ્તુ જે વિનાશમાંથી બચી ગઇ હોય અને આશાનું પ્રતીક હોય તેની
સાથે જોડાયેલી વાર્તા સાથે શેર કરવા અપીલ કરાઇ છે. આ પહેલનો હેતુ માત્ર વસ્તુઓ એકત્રિત
કરવાનો નહીં, પરંતુ કચ્છના ઇતિહાસની જીવંત યાદોને આવનારી પેઢી
માટે સંરક્ષિત કરવાનો છે. આ પહેલમાં જોડાવા તેમજ યાદગાર વસ્તુઓ શેર કરવા વધુ માહિતી
માટે મો. 63571 99991 પર સંપર્ક કરવા જણાવાયું છે.