• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

હર હર મહાદેવના નાદથી ગાંધીધામ સંકુલ ગુંજ્યું

ગાંધીધામ, તા. 15 : મહાશિવરાત્રિના મહાપર્વે ગાંધીધામ સંકુલ હર હર મહાદેવના નાદ ગુંજી ઊઠયું હતું. વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જળ અભિષેક સાથે પૂજા, આરતી, લઘુરુદ્રી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનાં આયોજનનો ભક્તોએ લાભ લીધો હતો. શહેરના લીલાશાહનગરમાં આવેલાં નારાયણેશ્વર મંદિર ખાતે વહેલી સવારથી મહાદેવનાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાંબી કતારો લાગે હતી. મંદિર પ્રશાસન દ્વારા પણ મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરી, જ્યારે શહેરના ચાવલા ચોકનાં શિવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકોએ મહાદેવનાં દર્શન કર્યાં હતાં. શહેરના ઉદયનગરમાં આવેલાં શિવ મંદિરમાં  કોલોની ઉપરાંત અલગ અલગ વિસ્તારના લોકોએ ભગવાન શિવનાં દર્શન કર્યાં હતા, તો સેક્ટર પાંચમાં આવેલાં ભવનાથ મંદિર મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ગાંધીધામ-આદિપુરના સૌથી જૂના નિર્વાસિતેશ્વર મંદિર ખાતે ભકતોએ મહાદેવને શિશ ઝૂંકાવીને આશીર્વાદ લીધાં હતા.ં આ ઉપરાંત ગાંધીધામના વોર્ડ 10-એમાં રામેશ્વર મહાદેવ ખાતે મારૂ વણકર સમાજ તેમજ સભ્યો દ્વારા વડીલો અને ભક્તોની સેવા કરવામાં આવી હતી. દાતા ગોપાલભાઈ મકવાણા, ગડુદાદા કોટવાળ, પ્રેમજીભાઈ મારૂ, ભરતભાઈ મારૂ, રમેશભાઈ મારૂ અને પૂજારી કાંતિલાલ મહારાજ સહિતનાએ ઉપસ્થિત રહી સેવા આપી હતી તેમજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલાં શિવ મંદિરમાં મહાશિવરાત્રિએ વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. લોકોએ પૂજા -આરતીમાં સહભાગી બનીને મંદિરની પરિક્રમા કરી હતી. ગાંધીધામ સંકુલમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તિ ભાવપૂર્વક મહાશિવરાત્રિ પર્વ માનવાયું હતું. શિવ મંદિરોમાં ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો.  

Panchang

dd