રશ્મિન પંડ્યા દ્વારા : અંજાર, તા. 11 : શહેર અને તાલુકાની ઐતિહાસિક
ધરોહર એવી ડી.વી. હાઈસ્કૂલના 90મા સ્થાપના દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ શાળા પરિસરમાં
સરસ્વતી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન આપતાં કહ્યું હતું કે, આ શાળાની
ભૂમિમાં એવી કોઈ દિવ્ય શક્તિ રહેલી છે કે વિદ્યાર્થી પ્રવેશ લેતાં જ તેનામાં અભ્યાસની
સાથે એકાગ્રતા પણ આવી જાય છે. આ બંને વસ્તુ જે વિદ્યાર્થીઓમાં હોય તેને જીવનની કોઈ
પણ પરીક્ષામાં પાસ થવું સરળ બની જાય છે. સાથોસાથ શૈક્ષણિક સાધના થકી સેવાનું મૂલ્ય
જે વિદ્યાર્થીને સમજાય તેનામાં સંસ્કાર સ્વયં આપોઆપ પ્રગટ થાય છે. આ શાળાના વિદ્યાર્થી
હોવાને નાતે આ શાળાના બાળકો ઉચ્ચ અભ્યાસ શાળા
અને શહેરનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી
હતી. અંજાર નગર સેવા સદનના પ્રમુખ અને શાળાના પૂર્વ વિદ્યાર્થી વૈભવભાઈ કોડરાણીએ
જણાવ્યું હતું કે, આ શાળામાં અભ્યાસની સાથોસાથ બાળકોને જીવન ઉપયોગી
માર્ગદર્શન તેમજ અભ્યાસની સાથે સર્વાંગી વિકાસ થાય તે રીતે સંસ્કારની સાથે શિક્ષણ-ટેકનિકલ
શિક્ષણ શાળામાં અપાય છે. શહેરની અને તાલુકાની
ઐતિહાસિક ધરોહર સમાન આ સંસ્થામાં ખૂટતી કડી પૂરવા માટે સહયોગની ખાતરી આપી હતી. અંજારના
નગરપતિ વસંતભાઈ કોડરાણી, માવજીભાઈ સોરઠિયા (ઈ.અ.)એ પ્રસંગોચિત
વકતવ્ય આપ્યું હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ
છાંગા, જિલ્લા શિક્ષણાધિકારી
સંજયભાઈ પરમારે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આચાર્ય જયેશભાઈ પીઠડિયાએ સ્વાગત
પ્રવચન કરીને શાળાની વિકાસયાત્રા અંગે ખ્યાલ આપ્યો હતો. શાળાના પૂર્વ વિદ્યાર્થી
તેમજ જાણીતા પેન્ટર વ્રજભાઈ સોનેજીના ચિત્રોનું ચિત્ર પ્રદર્શન વર્ગમાં રાખવામાં આવ્યું હતું. શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ શાળાના ગ્રુપમાં
જોડાવા માટે ક્યુ.આર. કોડની પણ વ્યવસ્થા રાખાઈ હતી. આ સુવિધાથી શાળાના હાલના તેમજ પૂર્વ
વિદ્યાર્થીઓ એકબીજાના સંપર્કમાં રહી શકશે અને માર્ગદર્શન પણ આપી શકશે. આ વેળાએ પૂર્વ
જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. દવે, પૂર્વ પ્રિન્સિપાલ આર.એચ પડસુંબિયા,
સુનીતાબેન દરિયાણી નયનાબેન કટ્ટા, ડી.ડી. જોશી,
આર.એસ. પટેલ, એસ.એલ. પરમાર, આર.આર. ચૌહાણ, એન.કે. ધોરિયા, એલ.એચ. કારિયા, આઇડેન્ટી મિશનના એલ.વી. વોરા, કે.આર. સોલંકી,
શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા વિરાજબેન મહેતા, કલ્પનાબેન મહેતા, મધુબેન પલણ, રેખાબેન
શાહ, શ્રુતિબેન સોલંકી, પી.એ. સેવક,
વાય.વી. દવે, મહેન્દ્ર પંડયા, બટુકભાઈ પંડયા, મહેન્દ્રભાઈ જેઠવા, મહાદેવભાઇ આહીર, હરીશભાઈ આશર, વેલજીભાઈ
આહીર તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંયુક્ત સંચાલન અનમબેન પઠાણ,
સુબેરાબેન વિધાણી મનીષાબેન દવેએ કર્યું હતું. આભારવિધિ શાળાના સુપરવાઇઝર ઉમેશભાઈ વ્યાસે કરી હતી. - સફળ વિદ્યાર્થીઓને
પુરસ્કૃત કરાયા : શાળાના 90મા સ્થાપના દિન પ્રસંગે ધો. 9-11 તેમજ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં
પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ખેલ મહાકુંભ-બાલ વિજ્ઞાન પ્રદર્શન-ભારત
વિકાસ પરિષદ પ્રાયોજિત ભારત કો જાનો-કલા મહોત્સવ-રંગોત્સવ-જ્ઞાન સાધના પરીક્ષા-સ્વામી
વિવેકાનંદ જન્મજયંતી આયોજિત લેખિત ક્વિઝ સ્પર્ધા-કે.જી.કે. વોકેશનલ ઇન્સ્ટિટયૂટ આયોજિત
નિબંધ સ્પર્ધા-શાળાકીય રમતોત્સવમાં ગોલ્ડ-સિલ્વર મેડલ તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત
શાળાના 70થી વધુ વિદ્યાર્થીને સન્માનિત કરાયા હતા.
શાળાના સુપરવાઈઝર ઉમેશભાઈ વ્યાસનું વિવિધ સેવાઓ બદલ સન્માન કરાયું હતું. - દાતાઓ શિક્ષકોને
સન્માનિત : શાળાના ગત વર્ષે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં તેમના વિષયમાં
100 ટકા પરિણામ પ્રાપ્ત કરનાર રાહુલભાઈ
નાઈ, સુબેરાબેન વિધાણી, અનમબેન
પઠાણ, દેવાંશી ગોસ્વામી, સંધ્યાબેન ઠાકર,
શાળામાં સરસ્વતીની મૂર્તિની સ્થાપના માટે અનુદાન આપનાર શ્રેષ્ઠી સંજયભાઈ
શાહ, સંયોજક મહેન્દ્રભાઈ કોટક, શાળાને સાઉન્ડ
સિસ્ટમ ભેટ આપનાર શાળાના પૂર્વ વિદ્યાર્થી
ક્રિપાલાસિંહ રાણા, અંજાર શહેર ભાજપના મહામંત્રી અશ્વિન
માલસત્તર તેમજ ગાંધીધામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વનરાજભાઈ રબારી, શાળાના (એસ.એમ.ડી.સી.) સભ્યો, શાળામાં દર વર્ષે યોજાતા
સરસ્વતી સન્માન સમારંભના કાયમી દાતા અંકિત શાહ, કેળવણી નિરીક્ષક મહેશદાન ગઢવી, કચ્છ જિલ્લાની
વિવિધ શાળાઓમાં વર્ગ-2 અધિકારી આચાર્ય
તરીકે બઢતી મેળવનારા એ.જે. અંજારિયા, સંદીપ ડાભી, હિરેન દવે, પંકજ પરમાર,
રેખાબેન પંડયા, કલ્પનાબેન જરૂ, શીતલબેન રબારી, શાસનાધિકારી શ્રી કટુવા, શાળાના પૂર્વ આચાર્ય, પૂર્વ શિક્ષક ભાઈ-બહેનો, અલ્પાહારના દાતા, સૌ મહેમાનોનું જાહેર અભિવાદન કરાયું હતું.