ગાંધીધામ, તા. 11 : મહાનગરને સ્વચ્છ-સુંદર અને પોર્ટ સિટીને અનુરૂપ વિકસિત બનાવવું
છે, તેમ કહીને મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાણીએ
કરોડો રૂપિયાના ખર્ચે રોડ, રસ્તા, ગટર,
પાણી, લાઈટ, મનોરંજન સ્થળ
સહિતના વિકાસનાં કામો થઈ રહ્યાં છે. લોકોને પાયાની સુવિધાઓ આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત
કરવામાં આવ્યું છે. હોવાનું કહ્યું હતું. શહેરમાં દરરોજ પીવાનું પાણી મળી રહે
તે દિશામાં મહાનગરપાલિકા કાર્યવાહી કરી રહી છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર દબાણો હટાવીને
માર્ગો ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાની સેવાઓને ડિજિટલ સ્વરૂપ અપાઈ રહ્યું
છે. લોકોને ફરિયાદ કરવા અથવા તો ટેક્સ ભરવા માટે કચેરીએ ધક્કો ન ખાવો પડે તેવું આયોજન
થઈ રહ્યું છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે, તેને દૂર કરવા માટે કામગીરી થઈ રહી છે, પરંતુ મહાનગરના
વિસ્તારમાંથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાને દૂર કરવા માટે ઘણો ખર્ચ છે. તેના ઉપર પણ
વિચારણા થઈ રહી છે. મોટા પ્રકલ્પ તૈયાર કરીને સીધા સરકારમાં મૂકવામાં આવે છે. આ મહાનગરને
પોર્ટ સિટીને અનુરૂપ બનાવવાનું છે, તેના માટે ઘણા ઇન્વેસ્ટમેન્ટની
જરૂરિયાત છે. આગામી પાંચ વર્ષમાં તે દિશામાં
કાર્યવાહી કરાશે તેવું તેમણે જણાવ્યું હતું. - દીનદયાલ પોર્ટ
અને ગાંધીધામ એકબીજાનાં પૂરક : કચ્છની મરુ ભોમકા ઉપર વસેલું ગાંધીધામ શહેર માત્ર
ભૌગોલિક શહેર નથી, પરંતુ માનવીય જીવિષા અને ઔદ્યૌગિક પ્રગતિનું
જીવંત ઉદાહરણ છે. શહેરની વિકાસ યાત્રા દીનદયાળ પોર્ટ (તત્કાલીન કંડલા પોર્ટ) વિના જોવી
અશકય છે. શરીરમાં હૃદય રક્તનું સંચાર કરે છે
તે જ રીતે ડીપીએ સાડા સાત દાયકાથી ગાંધીધામ અને સમગ્ર કચ્છની અર્થ વ્યવસ્થામાં પ્રાણવાયુ પૂરો પાડી રહ્યું છે. ગાંધીધામ શહેર અને દીનદયાલ
પોર્ટનો વિકાસ સિક્કાની બે બાજુ જેવો છે. ભારતને
પશ્ચિમ કિનારે મહત્ત્વની બંદરની જરૂરિયાત હોતા કંડલા બંદર વિકસાવાયું. આજે ગાંધીધામ
શહેર અને કંડલા મહાબંદર એકબીજાનાં પૂરક બનીને ઊભા રહ્યાં છે. ગાંધીધામે મહાબંદરને કુશળ માનવસંશાધન આપ્યું છે,
તો મહાબંદરે શહેરને વૈશ્વિક
ઓળખ આપી છે. એક જેટીથી શરૂ થયેલા ડી.પી.એ.એ સાડાસાત દાયકે વિશાળ વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે. 16 આધુનિક કાર્ગો બર્થ, આઠ ઓઈલ જેટી, મેઘા કન્ટેનર ટર્મિનલ, ગ્રીન ટેક્નોલોજીમાં મહાબંદર અગ્રેસર રહ્યું છે. ભારતની પ્રથમ ઈલેક્ટ્રિક ટગ સહિતના પ્રયાસો પોર્ટની કાર્બન ઉત્સર્જન ઘટાડવાની
દિશામાં પ્રતિબદ્ધતા દર્શાવે છે - સુશીલકુમાર સિંઘ ચેરેમન દીનદયાલ પોર્ટ ઓથોરિટી - નિવૃત ઈજનેરોને સાથે રાખી સર્વાંગી વિકાસ જરૂરી : ગાંધીધામ શહેરની
સ્થાપના કરવામાં આવી તે સમયે જે પ્રકારે
આયોજન અને વ્યવસ્થાઓ હતી, તે પ્રકારે મહાનગરનો વિકાસ કરવાની દિશામાં કવાયત
હાથ ધરવામાં આવી છે, પરંતુ તંત્રમાંથી નિવૃત્ત થયેલા ઈજનેરોની ટીમ બનાવી સંકુલના વિવિધ
મોરચે વિકાસ માટે નક્કર અને યોગ્ય આયોજન કરવું જોઈએ, જેમાં ભવિષ્યનાં
કામોની જોગવાઈઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.
શિણાય ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની સાથોસાથ વિવિધ વિસ્તારમાં હરવા-ફરવાનાં સ્થળો વિકાસાવવા
જોઈએ, ઈલેક્ટ્રિક સિટી બસ
દૂર-દૂરના વિસ્તારમાં રહેતા લોકોની પાયાની જરૂરિયાત છે, હાલ અને ભવિષ્યના વિકાસને કેન્દ્રમાં મૂકીને કોર્મશિયલ પ્લોટમાં હેતુફેર કરવા
માસ્ટર પ્લાનમાં ફેરાફાર કરવો જોઈએ, ગોપાલપુરી રેલવે સ્ટેશન આગામી
દિવસોમાં શરૂ થઈ જશે તે પહેલાં સ્ટેશનને જોડતા રસ્તાઓને ઝડપભેર સુવ્યવસ્થિત કરવા જોઈએ,
સ્વચ્છ ગાંધીધામ માટે હજુ ઘણુ બધું કરવાની જરૂરિયાત છે, પ્રત્યેક નાગરિકોએ સ્વચ્છતા મુદ્દે
જાગૃત થવા તેમણે અપીલ કરી હતી. - તેજાભાઈ કાનગડ પ્રમુખ,
ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ - ઝડપભેર
વિકાસના પંથે આગળ વધતું ગાંધીધામ : ગાંધીધામ-આદિપુરવાસી-ઓને શહેરના 78મા સ્થાપના દિવસ નિમિત્તે અભિનંદન. આઝાદી પછી નિર્માણ પામેલું
ગાંધીધામ શહેર ટૂંકા ગાળામાં પ્રગતિના પંથે છે. શહેરને કોર્પોરેશનનો દરજ્જો મળવાની સાથે જિલ્લા કક્ષાની હોસ્પિટલની ભેટ પણ
આ વખતે મળી છે. લોકોનાં સૂચન સાથે શહેરને વિકાસના પંથે લઈ જવા માટેના પૂરતા પ્રયાસ
હાથ ધરવામાં આવશે. શહેરને સ્વચ્છ અને આધુનિક
બનાવવાની નેમ છે, કોર્પોરેશન શહેરને સ્વચ્છ બનાવવા માટે પોતાનું કાર્ય કરી રહી છે, ત્યારે લોકોનો સહયોગ પણ એટલો જ જરૂરી
છે, લોકોના સહયોગ થકી
ગાંધીધામને ઝડપથી સ્વચ્છ બનાવી શકાશે,
હાલ વિકાસનાં કામોમાં
તકલીફ પડી રહી છે, પરંતુ
આગામી એક વર્ષ બાદ તેના સારાં પરિણામ જોવા મળશે. ભવિષ્યમાં કોર્પોરેશન વિસ્તારની ગાંધીધામ હસ્તક રહેલી જમીનો રાજ્ય સરકાર હસ્તક આવે
તે દિશામાં સક્રિય પ્રયાસ કરાશે તેમજ શિણાય ડેમને હરવા ફરવાનાં સ્થળ તરીકે વિકસાવવા અને ગાંધીધામને
મેડિકલ કોલેજ મળે તેવા પ્રયાસ કરાશે. - માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય, ગાંધીધામ - પ્રજા
ઉપયોગી કાર્ય માટે એસઆરસી તત્પર : શહેરની પાયાની અને વિકાસમાં યોગદાન આપનારી સંસ્થા સિન્ધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનની નવી ટીમ
શહેરના સર્વાંગી વિકાસ માટે સદાય તત્પર રહેશે. સંકુલના આદ્યસ્થાપક સ્વ. ભાઈપ્રતાપનાં આશીર્વાદથી ગાંધીધામ શહેરની રચના
માટે જમીન મળી છે અને તેમનાં સ્વપનનું ગાંધીધામ બનાવવા માટે કોઈ કચાસ નહીં રખાય. શહેરના
વિકાસ માટે ગાંધીધામ મહાનગરપાલિકા અને દીનદયાલ પોર્ટને એસઆરસીની નવી ટીમ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવશે, શહેર વિકાસની નવી ઊંચાઈ સર કરે તે દિશામાં એસઆરસીની
નવી ટીમ અગ્રેસર રહેશે, ગાંધીધામ સંકુલનો ચોમેર વિકાસ એ જ નવી ટીમનો ધ્યેય છે, નવાં
બોર્ડ દ્વારા પ્રથમ મિટિંગમાં સિટી બસસેવા માટે
મહાનગરપાલિકાને જમીન ફાળવી, શહેરમાં સ્વચ્છતાની દિશામાં
કચરા પેટીનું વિતરણ કરાયું છે અને મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનાં નિર્માણ
માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, આગળ પણ પ્રજા ઉપયોગી
કાર્ય માટે અમારી ટીમ સદાય તત્પર રહેશે. - સેવક લખવાણી ચેરમેન,
એસ.આર.સી.