અમદાવાદ, તા. 15 (અમારા
પ્રતિનિધિ તરફથી) : કચ્છના બન્નીનાં ઘાસનાં મેદાનોમાં વન્યજીવના વૈવિધ્યને સહાયરૂપ
બનવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાત વન વિભાગે, જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન
સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ અને સંરક્ષણ માટેની
પહેલ વનતારા સહયોગથી 70 હેક્ટરના
સંરક્ષિત વિસ્તારમાં 20 ચિતલ
(સ્પોટેડ ડિયર)ને આયોજનબદ્ધ રીતે વસાવવામાં આવ્યા છે. આ સહયોગી પહેલનો ઉદ્દેશ એશિયાના
સૌથી મોટા ઘાસનાં મેદાનોમાંના એક એવા બન્નીમાં જૈવવિવિધતાને મજબૂત કરવાનો છે. જામનગરમાં
આવેલી વનતારાની અલાયદી સંરક્ષિત સુવિધામાંથી સ્થળાંતરિત કરાયેલા હરણોને ખાસ ડિઝાઇન
કરેલી એમ્બ્યુલન્સમાં કચ્છ લાવવામાં આવ્યા હતા. સંરક્ષિત વિસ્તારમાં આ હરણોને છોડવાની
પ્રક્રિયા વન વિભાગના નિરીક્ષણ અને નિર્દેશન હેઠળ કરવામાં આવી હતી, જેમાં વનતારા દ્વારા સ્થાપિત સંરક્ષણ નિયમો અનુસાર પ્રક્રિયાને સરળ બનાવવા
માટે તકનીકી અને સંસાધનોની સહાય પૂરી પાડવામાં આવી હતી, એમ ગ્રીન્સ
ઝૂઓલોજિકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના ડિરેક્ટર ડો.
બ્રિજ કિશોર ગુપ્તાએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાં 2618 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બન્નીના ઘાસનાં મેદાનો એશિયાના
સૌથી મોટા અને પર્યાવરણીય રીતે સૌથી મહત્ત્વપૂર્ણ ઘાસનાં મેદાનોમાંનું એક છે. સર્વેક્ષણોમાં
આ પ્રદેશમાં સસ્તન પ્રાણીઓની 12 પ્રજાતિ
નોંધવામાં આવી છે, જેમાં છ માંસાહારી અને બે શાકાહારી પ્રાણીનો સમાવેશ થાય છે.
મુખ્ય પ્રજાતિઓમાં ચિંકારા (ઇન્ડિયન ગઝેલ), ભારતીય વરૂ,
ગોલ્ડન શિયાળ, નીલગાય, પટ્ટાવાળા
ઝરખ અને શિયાળનો સમાવેશ થાય છે. બન્નીના પર્યાવરણીય
વ્યવસ્થાપનમાં ગુજરાત વન વિભાગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું નિરંતર જારી રાખતાં ક્ષતિગ્રસ્ત
વિસ્તારોને પુનર્સ્થાપિત કરવા, આક્રમક પ્રજાતિઓને નિયંત્રિત કરવા
અને સ્થાનિક વન્યજીવનને ટકાવી રાખવા માટે મહત્ત્વપૂર્ણ એવા સ્થાનિક ઘાસના વિકાસને પ્રોત્સાહિત
કરવા પર કેન્દ્રિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચિતલને બન્નીમાં લાવવામાં પરિસ્થિતિનું
સંતુલન પુનર્સ્થાપિત કરવાના ચાલી રહેલા પ્રયાસોમાં એક મુખ્ય સીમાચિહ્ન છે. વનતારાની
ભૂમિકા એક પ્રતિબદ્ધ ભાગીદાર તરીકેની જ રહે છે, જેમાં સરકારની
આગેવાની હેઠળના સંરક્ષણ લક્ષ્યોની સેવામાં વૈજ્ઞાનિક સમજ, પશુચિકિત્સાની
કુશળતા અને તકનીકી માળખાંકીય સુવિધાઓનાં યોગદાનનો સમાવેશ થાય છે. સાથે મળીને આ સહયોગી
પ્રયાસો ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં અને ભારતના કુદરતી વારસાના ભવિષ્યને સુરક્ષિત કરવામાં
મદદ કરી રહ્યા છે.