અંજાર, તા. 9 : વડોદરાના પાદરા પાસે ગંભીરા
ઓવરબ્રીજ ધ્વસ્ત થતા 10 લોકોના મૃત્યુ
થયા હતા. આ બનાવ વચ્ચે વરસાણા- ભુજ ચાર માર્ગીય
ધોરીમાર્ગ ઉપર સતાપર પાસેના ઓવરબ્રીજની આરી વોલ અને માર્ગ બેસી ગયો હોવાની
ફરીયાદો ઉઠી હતી. સ્થાનિકોએ ફરીયાદ કરતા જણાવ્યુ હતુ કે વરસાણા-ભુજ ધોરીમાર્ગનુ કામ હજુ પૂર્ણ થયુ નથી. તેવામાં અંજાર થી સતાપર
તરફ માર્ગ ઉપર આવેલ ઓવરબ્રીજ જર્જરીત સ્થિતિમાં
બન્યો છે. આ માર્ગ ઉપર આવેલ ઓવરબ્રીજની આરી
દિવાલ એકાએક નમી ગઈ હતી.સંબંધિત ધ્વારા અહીં લીપાપોતી કરવામાં આવી હતી. આ ઓવરબ્રીજની
બાજુમાં આવેલ ડામર રસ્તાનો સર્વિસ રોડમાં પણ એક
ભાગ નીચે બેસી ગયો છે. ચાલુ કામ દરમ્યાન
આ સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે આગામી દિવસોમાં આ માર્ગ ઉપર વાહન વ્યવહાર
પૂર્વવત થયા બાદ કેવી સ્થિતિ નિર્માણ પામશે તે જોવુ રહયુ.લોકોની સલામતી અને
સુરક્ષા મુદે આ પ્રકલ્પના નિરીક્ષણ કરી યોગ્ય
કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.