માંડવી, તા. 9 : માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા
પ્રમુખ વાડીલાલ દોશીની અધ્યક્ષતામાં સતત 13મા વર્ષે જીવદયા પ્રોજેક્ટનો શુભારંભ કરાયો
હતો, જે અંતર્ગત
100 દિવસ સુધી 60 લાખ રૂા. જેટલી માતબર રકમના લીલાચારાનું નીરણ કરવાની
જાહેરાત કરાઇ હતી. માંડવી ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઇ
દોશીના અતિથિ વિશેષપદે યોજાયેલા કાર્યક્રમમાં માંડવીના મામલતદાર-તાલુકા મેજિસ્ટ્રેટ
વિનોદભાઇ ગોકલાણીએ જીવદયા પ્રોજેક્ટનું દીપ પ્રાગટય દ્વારા ઉદ્ઘાટન કરતાં જણાવ્યું
હતું કે, બીજાનું
દુ:ખ દૂર કરવા સદા અગ્રેસર આ સંસ્થા દ્વારા દાતાઓના દાન દ્વારા 60 લાખના ખર્ચે જીવદયા પ્રોજેક્ટ હાથ ધરાયો છે, તે બદલ સમગ્ર ટીમને ધન્યવાદ
પાઠવ્યા હતા. ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ પણ શુભેચ્છા પાઠવી હતી. પ્રમુખ સ્થાનેથી વાડીલાલભાઇએ
જણાવ્યું હતું કે, કચ્છની 30 પાંજરાપોળ અને 8થી 10 મહાજન વિહોણા ગામોમાં તથા નારાયણ સરોવરથી આડેસર (તા. રાપર) સુધી મૂંગા પશુઓને
60 લાખના ચારાનું નીરણ કરાશે. દાતા પ્રદિપભાઇ શાહ
અને હાર્દિકાબેન શાહ દ્વારા છેલ્લાં 12 વર્ષથી દર વર્ષે છથી આઠ લાખ દાન જીવદયા માટે અપાય છે. શ્રી દોશી દ્વારા તેમજ
દેશ-વિદેશના મિત્રો પાસેથી અત્યાર સુધી જીવદયા માટે માંડવી ચેમ્બરને રૂા. છ કરોડથી
વધુ રકમના સહયોગ બદલ આભારની લાગણી વ્યકત કરાઇ હતી તેમજ સંસ્થા દ્વારા ઓક્સિજન સિલિન્ડરના
બાટલાની સેવાકાર્યને દિનેશભાઇ શાહે બિરદાવી હતી. પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઇ બોરીચાએ
આગામી ચાર માસમાં મૂંગા પશુઓને 350 ગાડીથી
વધુ લીલાચારાનું નીરણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ચંદ્રસેનભાઇ
કોટક, અરવિંદભાઇ
શાહ, શીલાબેન શાહ, મધુભાઇ શેઠ, જેન્તીભાઇ શાહ, સી. પી. શાહ, નરેનભાઇ
સોની, ડાહ્યાભાઇ ભીમાણી, મહેશભાઇ લાકડાંવાળા,
જૈમિનભાઇ દોશી, અરવિંદભાઇ ગોહિલ, શાંતિલાલભાઇ ગણાત્રા, સંજયભાઇ ડગાળાવાલા, મહેશભાઇ તથા નાના કરોડિયા, મોટા કરોડિયા, કોકલિયા, ગુંદિયાળી, બિદડા,
હાલાપર, શિરવા, રેલડિયા,
મંજલ, વડાલાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ
તથા ટીમ તેમજ દાતાઓનું સન્માન કરાયું હતું. સંચાલન રાજેશભાઇ દોશી તથા આભારવિધિ નરેન્દ્રભાઇ
શુરૂએ કરી હતી.