પટણા, તા.4 : દિલ્હીમાં આગની લોહિયાળ દુર્ઘટનાના
બીજા જ દિવસે ગુરુવારે બિહારના મુજફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગતાં
અફરાતફરી વચ્ચે પાંચ લોકોનાં મોત થઈ ગયાં હતાં, તો 20થી વધુ દર્દી
ઘાયલ થયા હતા. હોસ્પિટલના આઈસીયુ સહિત ભાગોમાં ગાઢ અને ઝેરી ધુમાડો ફેલાઈ ગયો હતો.
પ્રારંભિક તપાસમાં ઓક્સિજન યૂનિટ અને મોનિટરિંગ સિસ્ટમમાં શોર્ટ સર્કિટને આગનું કારણ
મનાઈ રહ્યું છે. ભયાનક અગ્નિકાંડ બાદ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ સામે સ્થાનિક લોકો
અને પીડિતોના પરિવારોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. મૃતકોના પરિવારોએ આરોપ મૂક્યો
હતો કે, આગ લાગી, ત્યારે તબીબો,
નર્સ સહિત સ્ટાફ બધા દર્દીઓને તડપતા મૂકી પોતાના જીવ બચાવવા માટે બહાર
દોડી ગયા હતા. કરુણ દુર્ઘટનામાં સ્વજનો ખોનારા પરિવારો રડી રડીને થાક્યા હતા. દર્દીઓ
આઈસીયુમાં ઓક્સિજન સપોર્ટ પર હોવાથી જાતે હટી શકે તેમ પણ નહોતા.