નવી દિલ્હી, તા. 19 : હોર્મુઝમાં
ભારતીય જહાજો પર ગોળીબાર થતાં નારાજ બનેલાં ભારતે ઇરાનને ચેતવણી આપી હતી કે, હવે આવા હુમલા જહાજો પર થશે તો ગંભીર પરિણામ
ભોગવવાં પડશે. બીજી તરફ, ગોળીબારની ઘટના પર ઈરાને ખેદ વ્યક્ત
કર્યો હતો. એવું સમજાઇ રહ્યું છે કે, ભારતમાં ઇરાની દૂતાવાસ અને
ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ (આઇઆરજીસી) વચ્ચે આ ઘટના અંગે મતભેદ છે. આઇઆરજીસી સ્ટ્રેટ
ઓફ હોર્મુઝ પરથી પસાર થતાં તમામ જહાજો પાસેથી ટોલ વસૂલે છે, પરંતુ
ભારતીય અધિકારી આવી માંગ માનવા તૈયાર નથી. બે ભારતીય જહાજો પર ઇરાની નૌકાદળના ગોળીબારની
ઘટના એવા સમયે બની છે, જ્યારે ઇરાની યુદ્ધ જહાજ આઇરીસ લવાન હજુ
પણ કોચી બંદર પર પડયું છે. એ ઇરાની જહાજ ભારત પાસે શરણ માગીને આવ્યું હતું. જહાજના
183માંથી 120 સભ્યોને સુરક્ષિત ઇરાન મોકલી
દેવાયા છે. અહેવાલો અનુસાર, ઇરાન હોર્મુઝથી
પસાર થતાં જહાજો પાસેથી ટેકસ વસૂલે છે, પરંતુ એક ભારતીય અધિકારીએ
કહ્યું હતું કે, ભારત કોઇ જાતનો ટોલ નહીં આપે. લાખો બેરલ ક્રૂડ
તેલ લાવતાં ભારતનાં બે મોટાં જહાજો પર ગોળીબાર જેવી હરકતનાં પરિણામ ભોગવવાં પડશે એવી
ચેતવણી ભારતે ઇરાનને આપી છે. ભારતમાં ઈરાનનાં સુપ્રીમ લીડર મુઝ્તબા ખામેનીનાં પ્રતિનિધિ
ડૉ.અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ કહ્યું હતું કે, ઈરાન અને ભારતનાં
સંબંધો ખુબ જ મજબૂત છે અને ભારતીય જહાજો ઉપર હુમલાની કોઈ જાણકારી તેમની પાસે નથી. જો
કે તેમણે ધરપત આપી હતી કે, બધું જલ્દી ઠીક થઈ જશે અને આ બાબતનો
પણ ઉકેલ આવી જશે. ભારતીય જહાજ ઉપર શનિવારે ગોળીબારની ઘટનાને પગલે હોર્મુઝ ક્ષેત્રમાં
તનાવ વ્યાપી ગયો હતો. આ ઘટનાનો એક ઓડિયો પણ બહાર આવ્યો છે. જેમાં ભારતીય કેપ્ટન ઈરાની
નૌસેનાને તેની હરકત માટે ઝાટકતા સંભળાય છે. સનમાર હેરાલ્ડ જહાજનાં કેપ્ટન મોટેથી બૂમ
પાડીને ઈરાની નૌસેનાને કહે છે કે, તમે જ આ જહાજને ક્લીયરન્સ આપેલું
છે. તો પણ ગોળીબાર કરવામાં આવી રહ્યાં છે.