નવી દિલ્હી, તા. 18 : ત્રણ મહિના
કરતાં વધુ સમયથી રાહતની રાહ જોઈ રહેલા દેશના લગભગ 1.19 કરોડ કર્મચારી, પેન્શનરોની આતૂરતાનો આખરે અંત આવી ગયો છે. કેન્દ્રની મોદી સરકારે શનિવારે મોંઘવારી
ભથ્થામાં બે ટકાના વધારાનું મોડેથી પણ એલાન કરી દીધું હતું. કેન્દ્રીય પ્રધાન મંડળ
(કેબિનેટ)ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજિત બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના
મોંઘવારી ભથ્થા (ડીએ) અને પેન્શનર્સ માટે મોંઘવારી રાહત (ડીઆર)માં બે ટકા વધારો કરવાને
મંજૂરી અપાઈ હતી. આ ફેંસલા સાથે જ મોંઘવારી ભથ્થું મૂળ પગારના 58 ટકામાંથી 60 ટકા થઈ ગયું છે. આ નિર્ણયથી
સરકારી ખજાના પર વાર્ષિક 6,791.24 કરોડ
રૂપિયાનો વધારાનો બોજ પડશે. ખાસ જાણવા જેવી વાત એ છે કે, કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે આ વધારો પહેલી જાન્યુઆરી, 2026થી જ લાગૂ કરાશે. આમ, એપ્રિલ ઉપરાંત જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચએ ત્રણ મહિનાનું એરિયર્સ પણ કર્મચારી-પેન્શનર્સને ચૂકવાશે.
આ ફેંસલાથી લગભગ 50.46 લાખ કર્મચારી
અને 68.27 લાખ પેન્શનર્સને ફાયદો મળશે.
સાતમાં કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે નક્કી કરાયેલા ફોર્મ્યુલા અનુસાર મોડેથી
પણ સરકારે વધારાની ઘોષણા કરી છે.