નવી દિલ્હી, તા. 10 : ભારતનાં આક્રમક ઓપરેશન સિંદૂરથી રઘવાટ સાથે
સામે ચાલીને યુદ્ધવિરામ માટે સહમતી બતાવનારા `દગાબાજ'
પાકિસ્તાને યુદ્ધવિરામ લાગુ કરાયાના ત્રણ કલાક બાદ પાછું પોત પ્રકાશ્યું
હતું. રાજસ્થાન તેમજ કચ્છથી કાશ્મીર સુધી ગોળીબાર અને ડ્રોન હુમલા કરતાં પાકિસ્તાનની
`આતંકપરસ્ત' સેનાએ ફરી નાપાક હરકત કરી હતી. કચ્છમાં
નવ ડ્રોન દેખાયાં હતાં, તો શ્રીનગરમાં ધડાકા થયા હતા. વિશ્વાસઘાત
પાક સેનાની છીછરાઇનો જડબાંતોડ જવાબ આપવાનું શરૂ કરી દેતાં ભારતીય સેનાએ શ્રીનગરમાં
ચાર ડ્રોન તોડી પાડયાં હતાં અને વળતા જવાબની કાર્યવાહી શૂરવીર જવાનોએ શરૂ કરી દીધી
હતી. એ દરમ્યાન ભારતના લશ્કરે સ્પષ્ટતા કરી હતી કે, એલઓસી પર
કોઈ ગોળીબાર-ધડાકો નથી થયો અને સ્થિતિ શાંત છે. ભારતીય સેનાએ વચન તોડનાર પાક સેનાને
જડબાંતોડ જવાબ આપી તેના તમામ ડ્રોન નષ્ટ કરી નાખ્યાં હતાં. પાક સેનાએ મૂકેલાં તમામ
ડ્રોન `સર્વેલન્સ ડ્રોન' એટલે કે, જાસૂસ ડ્રોન હતા. શ્રીનગર તેમજ પંજાબના ફિરોઝપુરમાંથી બ્લેકઆઉટ હટાવી લેવાયો
હતો. કાશ્મીર તરફ અંકુશરેખા પર પાક સેના તરફથી ગોળીબાર બંધ થઈ ગયો હતો. કાશ્મીર,
રાજસ્થાનમાં ક્યાંક બ્લેકઆઉટ ફરી લાગુ કરી દેવાયો હતો, તો કચ્છમાં વહીવટી તંત્ર તરફથી નાગરિકોને સ્વયંભૂ બ્લેકઆઉટની અપીલ કરાઇ હતી.
એવું જાણવા મળ્યું હતું કે, પાકની સેના વડાપ્રધાન શાહબાઝ શરીફનો
આદેશ માનતી નથી. અગાઉ, બંને દેશ પૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ
માટે સહમત થયા હતા. સંઘર્ષવિરામના એલાન સાથે જ કચ્છ સહિતના દેશની પશ્ચિમી સરહદના વિસ્તારોમાં
અંધારપટ સહિતના નિયમોમાં છૂટછાટ અપાઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટમાં
દાવો કર્યો હતો કે, તેમના મધ્યસ્થી માટેના રાતભરના પ્રયાસો થકી
ભારત અને પાકિસ્તાન સંઘર્ષવિરામ માટે સંમત થયા હતા. જો કે, ભારતે
કહ્યું હતું કે, આ સંમતિમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી. પછડાટ
ખાઈ રહેલા પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન (ડીજીએમઓ) તરફથી આ ઘર્ષણના
અંત માટે વિનંતીનો ફોન આવ્યા બાદ તેની જાહેરાત થઈ હતી. યુદ્ધવિરામની જાહેરાત પહેલાં
જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉચ્ચ બેઠક બાદ ભારતે જાહેર કર્યું હતું કે, હવેથી કોઈ પણ આતંકી હુમલાને દેશ સામેનું યુદ્ધ માનવામાં આવશે અને એ રીતે જ
જવાબ આપવામાં આવશે. ભારત સરકારના સૂત્રોએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, પહેલગામના નરસંહાર બાદ ભારતે લીધેલા સિંધુજળ કરાર પર રોક સહિતના નિર્ણયો યથાવત્
રહેશે અને સુરક્ષા દળો સતર્ક અને સજ્જ છે. 12મી મેના બંને દેશના ડીજીએમઓ ફરી એકવાર વાતચીત કરશે.
ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, અમેરિકા તરફથી મધ્યસ્થીની વાતચીતની લાંબી રાત બાદ ભારત અને
પાકિસ્તાન પૂર્ણ અને તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ માટે સંમત થયા હોવાની ઘોષણા કરતાં
મને આનંદ થાય છે. બંને દેશને અભિનંદન. અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયોએ વિદેશમંત્રી
એસ. જયશંકર, પાકિસ્તાનના વિદેશમંત્રી ઈશાક ડાર અને પાકના સેનાધ્યક્ષ
જનરલ અસીમ મુનીર સાથે વાતચીત કર્યા બાદ ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. યુદ્ધવિરામની જાહેરાત પહેલાં જ મોદીએ સંરક્ષણમંત્રી
રાજનાથસિંહ, એનએસએ અજિત દોભાલ, ચીફ ઓફ ડિફેન્સ
સ્ટાફ અનિલકુમાર તેમજ લશ્કરની ત્રણ પાંખના વડાઓ સાથે એક બેઠકમાં ચર્ચા-વિચારણા કરી
હતી અને આ બેઠક બાદ જ ભારતે જણાવ્યું હતું કે, હવે પછી કોઈ પણ
આતંકી હુમલાને દેશ સામેનું યુદ્ધ ગણીને એ રીતે જ જવાબ આપવામાં આવશે. આમ, ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, તે ત્રાસવાદી
હુમલાઓ હવે બિલકુલ સાંખી લેશે નહીં. ભારતની
આ ઉલ્લેખનીય જાહેરાતની થોડી ક્ષણોમાં જ ટ્રમ્પે યુદ્ધવિરામ માટેની ટ્વિટ કરી હતી અને
પછી બંને દેશની સહમતીના અહેવાલ જારી થયા હતા. યુદ્ધવિરામની ઘોષણા બાદ ભારતીય સુરક્ષા
દળોની પત્રકાર પરિષદમાં પાકના અપપ્રચારના વધુ ખુલાસાઓ સાથે ભારતે એ પણ સ્પષ્ટ કર્યું
હતું કે, ભારતીય સેના સતર્ક છે અને કોઈ પણ દુસ્સાહસને ભરી પીવા
માટે સજ્જ છે.