ગાંધીધામ, તા. 4 : કચ્છ જેવા વિશાળ અને સંભાવનાઓથી
સમોદ્ધ જિલ્લામાં રમતગમતના સર્વાંગી વિકાસ
માટે એક નવી દિશા નક્કી થઈ રહી છે, ત્યારે
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગાંધીધામના વિશાળ રમતગમત સંકુલના આધુનિકીકરણ
અને સર્વાંગી વિકાસ માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ છે. વિશાળ ફલકમાં વિસ્તરેલું આ સંકુલ
અનેક સ્પર્ધાઓનું કેન્દ્ર હોવા છતાંય આધુનિક સુવિધાઓના અભાવે સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચતું
ન હોવાનું જણાવાયું છે. ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે,
કચ્છના યુવાનોમાં રમતગમતની અદ્ભુત પ્રતિભા છે, પરંતુ માળખાંકીય સુવિધાના અભાવે સંપૂર્ણપણે વિકસિત થઈ શકતી નથી. રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓ ઊભી કરે તો કચ્છના યુવાનો રાષ્ટ્રીય
અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારશે તેવું ઉમેર્યું હતું. ગાંધીધામમાં મલ્ટિ
સ્પોર્ટસ ઈન્ટિગ્રેટેડ હબ વિકસાવાય તો માત્ર
રમતગમત પૂરતું જ નહીં રોજગાર, ઉદ્યોગ અને પ્રવાસન માટે પણ નવી
તકો ઊભી થશે તેવું ઉમેર્યું હતું. ચેમ્બરના
માનદ્મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ સંકુલને એક સ્પોર્ટસ ઈકોસિસ્ટમ
તરીકે વિકસાવવાનો હવે સમય આવી ગયો છે. લાઈટિંગ, ઈન્ડોર ગેમ્સ, સ્વીમિંગ પુલ, જિમ્નેશિયમ ડિજિટલ ટ્રેઈનિંગ સેન્ટર અને પ્રોફેશનલ કોચિંગ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવે તો અહીં રાજ્ય અને રાષ્ટ્રીય
સ્તરની સ્પર્ધાઓનું આયોજન સરળ બનશે. ચેમ્બરના
કારોબારી સભ્ય પ્રશાંત કેલા અને કચ્છ રૂરલ ક્રિકેટ એસોસીએશન સાથે સંકળાયેલા શરદ શેટ્ટીએ ઉમેર્યું હતું કે, કચ્છમાં ક્રિકેટ સહિતની વિવિધ રમતો
માટે ઉત્સાહ જોવા મળે છે, જો ગાંધીધામમાં આંતરરાષ્ટ્રીય ધોરણની
સુવિધાઓ વિકસાવવામાં આવે તો અહીં ટેલેન્ટ હન્ટ, કોચિંગ કેમ્પ
અને મોટી ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકે, જે સ્થાનિક ખેલાડીઓને
સીધી પ્રગતિનો માર્ગ બતાવશે. અત્રે ઉલ્લેખની છે કે, કચ્છમાં રમતગમત
ક્ષેત્રમાં અનેક પ્રતિભાશાળી ખેલાડીઓએ રાષ્ટ્રીય
અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન મજબૂત
બનાવ્યું છે. ખાસ કરીને અંડર 19 વિશ્વકપ અને એશિયા કપ જેવી
આં.રા. સ્પર્ધાઓમાં સ્થાન મેળવનાર અને ગાંધીધામ ચેમ્બર દ્વારા સન્માનિત યુવા વિકેટકીપર અને બેટસમેન હરવંશ પંગાલિયાનો સમાવેશ
થાય છે. આ ઉપરાંત ટેબલ ટેનિસ, ફૂટબોલ, સ્વીમિંગ, સ્કેટિંગ
અને જૂડો-કરાટે જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ કચ્છના ખેલાડીઓએ સફળતા મેળવી છે. રાજ્ય સરકાર
દ્વારા સકારાત્મક નિર્ણય લેવાય તો નજીકના ભવિષ્યમાં ગાંધીધામ માત્ર કચ્છ નહીં ગુજરાતનું
ગૌરવનું પ્રતીક બનશે, તેવું પત્રમાં જણાવાયું છે.