નવી દિલ્હી, તા. 27 : પહેલગામ આતંકવાદી
હુમલા બાદ ભારતના આક્રમક વલણ વચ્ચે ખંધા ચીને શનિવારે તેના નીકટના સાથી પાકિસ્તાનનો
પક્ષ ખેંચ્યો હતો. બીજી તરફ આતંકપરસ્ત પાકે પહેલગામ હુમલાની તપાસમાં ચીન અને રશિયાને
સામેલ કરવાની માંગ કરી હતી. પાકની સ્વાધિનતા અને સુરક્ષા હિતો માટે મિત્ર દેશને સમર્થન
આપવાના નિર્ધાર સાથે ચીનના વિદેશમંત્રી વાંગ યીએ બન્ને દેશોને સંયમ રાખવા જણાવ્યું
હતું. ચીની વિદેશમંત્રી વાંગે પાકિસ્તાનની સમકક્ષ ઇશાકદારને ફોન કરીને પહેલગામ હુમલાની
`તટસ્થ તપાસ'ની માંગ મુદે્ પાકનો સમર્થન આપવાની વાત કરી હતી.
ભારત અને પાકિસ્તાનમાં પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર આતંકવાદી હુમલા બાદ વકરેલી તાણ
વચ્ચે ચીને અવળચંડાઇ બતાવતાં પાકિસ્તાનનો પક્ષ ખેંચ્યો હતો. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન
ખ્વાજા આસિફે રશિયન મીડિયા રિયા નોવોસ્ટીને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે,
એક આંતરરાષ્ટ્રીય ટીમે તપાસ કરવી જોઈએ કે, ભારતના
પીએમ મોદી સાચું બોલી રહ્યા છે કે ખોટું. ખ્વાજા આસિફે કહ્યું કે, અત્યારે ઊભાં થયેલાં સંકટમાં રશિયા કે ચીન કે પછી પશ્ચિમી રાષ્ટ્રો પોતાની
સકારાત્મક ભૂમિકા ભજવી શકે એવું મારું માનવું છે. તેઓ પોતાની એક તપાસ ટુકડી બનાવે જેને
એ તપાસવાનું કામ અપાય કે ભારત કે મોદી જૂઠું બોલી રહ્યા છે કે નહીં. આ બાબત અંતરરાષ્ટ્રીય
ટીમને શોધવા દો એમ આસિફે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ અંતરરાષ્ટ્રીય તપાસના વિચારને સમર્થન
આપ્યું છે તેમણે કહ્યું કે, પાકિસ્તાન ક્રૂર આતંકવાદી હુમલામાં
સામેલ હતું તે સાબિત કરવા માટે પુરાવા જરૂરી છે. ચાલો શોધી કાઢીએ કે ભારતમાં,
કાશ્મીરમાં આ ઘટનાના ગુનેગાર અને કાવતરાખોર કોણ છે. ખાલી વાતો કે નિવેદનોની
કોઈ અસર થશે નહીં. પાકિસ્તાન સંડોવાયેલું છે કે એ લોકોને પાકિસ્તાનનું સમર્થન હતું
તે માટેના કેટલાક પુરાવા જોઈએ. આ બધાં માત્ર નિવેદનો છે એમ આસિફે કહ્યું હતું.