• શુક્રવાર, 13 માર્ચ, 2026

ગરમીમાં અબોલ જીવો માટે પચ્ચીસ અવાડા બનાવી મહેકાવી માનવતા

(કોટડા ચકાર), તા. 12 :  ઉનાળાના પ્રારંભ સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે, ત્યારે મનુષ્યોની સાથે અબોલ પશુ-પક્ષીઓ અને વન્યજીવો માટે પીવાનાં પાણીની વિકટ સમસ્યાને ધ્યાને લઈ મિશન હરિઓમ સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી આ પંથકના સીમાડાઓમાં પચ્ચીસ જેટલા પાકા અવાડા બનાવી જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.  કૈલાસનગર શાખાના આચાર્ય શ્રીહરિ અને સૂરજપર મોવડી નારણબાપા (કેરાઈ)સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોનાં માર્ગદર્શન અને  વિશેષ સહયોગથી આ વિસ્તારમાં 25 જેટલા પાકા અવાડાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પંથકમાં ગાય, બળદ, ઘેટા, ઊંટ અને ભેંસો જેવાં પાલતુ પશુઓની સાથે જંગલી જાનવરો માટે આ અવાડા આશીર્વાદરૂપ સાબિત થશે. સંસ્થા દ્વારા પંથકનાં વિવિધ ગામો અને ધાર્મિક સ્થળોએ આ સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે, ભારાપર, સણોસરા, રેહા, કોટડા ચકાર, કૈલાસનગર, આશાપુરા મંદિર અને મમિયાદેવ મંદિરના સીમાડાઓનો સમાવેશ થાય છે. માત્ર અવાડા બનાવવા પૂરતું જ નહીં, પરંતુ તેમાં નિયમિત રીતે  પાણી ભરાય અને સમયાંતરે સફાઈ થાય તેની સંપૂર્ણ જવાબદારી ગાયોના ગોવાળો અને ગૌભક્તો દ્વારા ઉપાડવામાં આવી છે. આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિનું સુકાન શ્રીહરિ, નારાણબાપા, સૂરજપરના જગદીશ પિંડોરિયા, સૂરાભાઈ રબારી તેમજ સંસ્થાના સેવાભાવી યુવાનો સંભાળી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ભરઉનાળે તરસ્યાં પશુ-પક્ષીઓ માટે કરવામાં આવેલી આ વ્યવસ્થાને પંથકના લોકો અને જીવદયાપ્રેમીઓએ બિરદાવી હતી. 

Panchang

dd