ગાંધીધામ, તા. 15 : આદિપુરમાં ચારવાળીના ચાર રસ્તા
પાસે એસ.ટી.એ દ્વિચક્રિય વાહનને હડફેટમાં લેતા વાલબાઈ ચંદુલાલ મહેશ્વરી નામના મહિલાનું
મોત થયું હતું. ભુજ તાલુકાના કાળીતલાવડી સ્થિત ખાનગી કંપનીમાં કામ દરમ્યાન 18 વર્ષીય શ્રમિક યુવક અમનકુમાર
વિરેન્દ્ર રાયને વીજ કરંટ લાગતા તેનું મોત આંબી ગયું હતું. અબડાસાના રાયધનપરમાં રહેનાર
આધેડ ચંદુલાલ અને તેમના પત્ની વાલબાઈ પોતાની દીકરી પિયંસને ત્યાં કિડાણા ખાતે આવ્યા
હતા. દીકરીને મળીને આ બંને પરત જવા દ્વિચક્રિય વાહન નંબર જી.જે.12-એચ.જી.-9248પર સવાર થઈને પોતાના ઘરે જઈ
રહ્યા હતા. તેમનું વાહન આદિપુરમાં ચારવાળી ચાર રસ્તા પાસે પહોંચ્યું હતું ત્યારે રાજકોટ
- માંડવી રૂટની બસ નંબર જી.જે.18-ઝેડ-ટી-2829એ તેમને હડફેટમાં લીધા હતા
જેમાં આ પતિ-પત્ની ઘવાયા હતા. તેમને પ્રથમ રામબાગ પછી વધુ સારવાર અર્થે ભુજની જી. કે.
જનરલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન વાલબાઈએ છેલ્લા શ્વાસ લીધા હતા.
એસ.ટી.ના ચાલક સામે ભાવેશ ચંદુલાલ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ કાળીતલાવડી
સ્થિત વાઘેશ્વરી કંપનીમાં ગઈકાલે સાંજે ચાર વાગ્યા આસ-પાસ અમનકુમાર આ કાર્બન કંપનીના
મશીન ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે પગ પર કરંટ લાગ્યો હતો. આથી તેને સારવાર અર્થે ભુજની
જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની
પોલીસ ચોકીમાં નોંધાવાઈ હતી.