• ગુરુવાર, 16 જુલાઈ, 2026

મુંદરા કસ્ટોડિયલ ડેથમાં મુખ્ય આરોપી વચગાળાના જામીન બાદથી ફરાર

ભુજ, તા. 15 : ભારે ચકચારી મુંદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં મુખ્ય આરોપી પૈકીનો પોલીસ કર્મચારી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ વચગાળાના જામીન પર મુક્ત થઈ હાજર ન થઈ ફરાર થઈ જતાં હવે કેસ જ્યારે દલીલ પર છે ત્યારે ટ્રાયલમાં વિલંબ ઊભો થયો છે. ફરિયાદી તથા સાહેદો પર ખતરાની આશંકા સાથે આરોપીને ઝડપવા ફરિયાદીએ અનુરોધ કર્યો છે. ગઢવી-ચારણ સમાજના બે યુવાનના મૃત્યુવાળો કચ્છ અને બૃહદ કચ્છમાં ભારે ચર્ચાસ્પદ રહેલો આ મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસ એક વર્ષથી આખરી દલીલ પર ચાલી રહ્યો છે અને કેસ પૂર્ણતા તરફ જઈ રહ્યો છે ત્યારે આ કામના મુખ્ય આરોપી શક્તિસિંહ ગોહિલ હાઈકોર્ટના ટૂંકા ગાળાના સાત દિવસના જામીન પર તા. 2/7થી 9/7 સુધી ગળપાદર જેલમાંથી છૂટયો હતો અને તા. 10/7ના હાજર થવાનું હતું પરંતુ તે હાજર ન થઈ ફરાર થઈ ગયો છે. આ આરોપી શક્તિસિંહ અગાઉ પણ સમયસર ટૂંકા ગાળાના જામીન પર હાજર થયો ન હતો. ભુજ ખાતે પાલારા ખાસ જેલમાં પણ તેના વર્તન-વ્યવહાર જેલના નિયમો વિરુદ્ધ હોવાથી આ શક્તિસિંહ અને તેના સહઆરોપી જયદેવસિંહ ઝાલાને જેલના શિસ્ત અને સલામતીના કારણોસર ગળપાદર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે આ કેસ પૂર્ણતા તરફ પહેંચી રહ્યો છે ત્યારે જ આ મુખ્ય આરોપી શક્તિસિંહનું ફરાર થવું તે વર્તન ખૂબ નોંધનીય છે. આ રીતે કેસને લંબાણે પાડવા અને ટ્રાયલ આગળ ન વધે તે માટેના પ્રસાય હોઈ શકે. વધુમાં આ કેસના સાહેદ વિજયસિંહ ઝાલા એડવોકેટ ઉપર હુમલો થયો છે ત્યારે આ આરોપી ફરાર થતાં ફરયાદી તથા સાહેદો પર ખતરો મંડરાઈ રહ્યો છે. આથી આ ફરાર આરોપી શક્તિસિંહની તાત્કાલિક ધરપકડ કરવા ફરિયાદીએ અનુરોધ કરતી અરજી પોલીસવડા અને સરકાર સમક્ષ કરી છે. 

Panchang

dd