ભુજ, તા. 30 : બન્નીના
માલધારીઓ પોતાના પશુધન સાથે શેખપીરથી નાડાપા વચ્ચે સ્થાયી થયા છે. ત્રણ-ચાર દિવસ
પૂર્વે નાના દિનારા-મૌવરવાંઢનું દંપતી સસરાને મળવા પોતાની માલમતા લઇ નાડાપા ફાટક
પાસે આવ્યા હતા અને રાત દરમ્યાન રોકડ,
સોના-ચાંદીના ઘરેણાની સાત લાખની મતાની પેટીની ચોરી થયાની ફરિયાદ
અરજી થઇ છે. આ અંગે અમારા નાના દિનારાના પ્રતિનિધિ ફઝલા અલીમામદ સમાએ ત્રણ-ચાર
દિવસ પૂર્વે મૌવરવાંઢ નાના દિનારાના અનવર બિલાલ સમા અને તેની પત્ની સાજાબાઇ તેઓના
પીયર વાયદ હાસમ સમા જે નાડાપા ફાટક પાસે પશુઓ સાથે બેઠા છે ત્યાં ગયા હતા. દંપતીએ
ત્યાં રાત્રિરોકાણ કર્યું હોવાથી સાજાબાઇ દાગીના ઉતારી પેટીમાં રાખ્યા હતા અને રાત
વચ્ચે આ પેટી કોઇ હરામખોર ચોર ઉઠાવીને લઇ ગયો હતો. આ પેટીમાં રોકડા રૂા. 27,000 ઉપરાંત
ચાંદીનું ઘર, કાપની બે જોડી, ચાંદીની બે ચૂડી, પગના બે પાયલ વિગેરે એમ અંદાજે રૂા. સાત લાખની ચોરી થયાનું પદ્ધરને આપેલી
ફરિયાદ અરજીમાં જણાવ્યું છે. દરમ્યાન આ અંગે કચ્છમિત્રએ પદ્ધર પોલીસનો સંપર્ક
કરતાં ફરિયાદ અરજીના આધારે તપાસ આદરતાં પૂછતાછમાં રીઢા ચોરને શંકાસ્પદ જાહેર કરાયો
છે. આ રીઢા ચોરને અન્ય બે કેસમાં પણ પોલીસ શોધી રહી છે. દરમ્યાન આ રીઢા ચોર સાથે આ
પરિવારની અગાઉ માથાકૂટ થયાનીય વિગતો મળી છે. આમ, આ
નાસતો-ફરતો શંકાસ્પદ ચોર હાથ આવે આ કેસની અન્ય વિગતો સામે આવવાની સંભાવના વ્યક્ત
થઇ છે.