ગાંધીધામ, તા. 30: ભચાઉ
તાલુકાના વોંધથી સામખિયાળી જતાં રેલ્વે ટ્રેક ઉપર પટ્ટીના બોલ્ટ ખોલી બેલાસ્ટ ટ્રેક
ઉપર મુકી ટ્રેન ઉથલાવવાની કોશિસ કરાતા ભારે ચકચાર પ્રસરી હતી. રેલ્વેની એ.જી.એફ.ટી.
નામની માલગાડી ભચાઉના વોંધથી સામખિયાળી બાજુ જઈ રહી હતી દરમ્યાન ગત તા. 28/6નાં સમી સાંજે આ બનાવ બન્યો હતો. લોકો, પાયલોટ, ગાર્ડ ટ્રેનમાં હતા દરમ્યાન વોંધથી સામખિયાળી
વચ્ચે કિ.મી. નંબર 752/49-752/45 રેલ્વે
પાટા ઉપર અજુગતુ જણાયું હતું. આ બંનેએ વોંધના સ્ટેશન માસ્ટરને જાણકારી હતી. રેલ્વે
સ્ટેશન માસ્તરે રેલ્વે પોલીસને જાણ કર્યા બાદ તમામ ત્યાં પહોંચ્યા હતા. અહીં ડી.એચ.ઈ.-
અર્થિન્સ લોમ્ડ પટ્ટી તથા બેલાસ્ટ (સ્ટોન) રેલ્વે પાટ્ટા ઉપર રાખેલી નજરે પડી હતી.
જેના કારણે મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી. ટ્રેનને ઉથલાવવાના આ કારસ્તા અંગે ભચાઉ
પોલીસમાં જાણ કરાઈ હતી. બનાવની તપાસ કરનાર પી.એસ.આઈ. જે.જે. ત્રિવેદીએ જણાવ્યું હતું
કે અત્રે ગયા ત્યારે અમને આવુ કાંઈ દેખાયું નહોતું. કોઈએ પટ્ટીના બોલ્ટ ખોલી નાખ્યા
હોવાનું જણાય છે. આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ આદિપુરથી
અંજાર જતાં ટ્રેક ઉપર શનિદેવ મંદિર સામેના ભાગમાં પણ આવા બનાવોને અંજામ અપાયા છે તેમજ
અંજારમાં પથ્થર મૂકવાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે આવા તત્વોને પકડી પાડવાની
પ્રબળ માંગ લોકોમાં ઉઠી હતી.