સામાન્ય રીતે વિરોધપક્ષોના અકારણ
આરોપોનો ભોગ બનતા રહેલા દેશના ચૂંટણીપંચે બિહારની ચૂંટણીની તૈયારીના સંદર્ભમાં
મતદારયાદી તાકીદે સુધારવા 2પ દિવસની વિશેષ ઝુંબેશની જાહેરાત
કરીને ભારે રાજકીય વિવાદ જગાવ્યો છે. ચૂંટણીપંચનાં આ પગલાંથી બિહારમાં વિધાનસભાની
આગામી ચૂંટણીનો એજન્ડા ધરમૂળમાંથી ફેરફાર થઈ જશે. સુધારેલી મતદારયાદીમાં નામોના
સમાવેશ અને બાદબાકીથી સંખ્યાબંધ મતદારો પર અસર પડશે. વિપક્ષે આરોપ મુક્યો છે કે, આ કાર્યવાહી પાછળ સમાજના
નબળા વર્ગ અને લઘુમતી સમાજના મતદારોને મતદાનથી વંચિત રાખવાનો કારસો રચાયો છે.
ચૂંટણીપંચે બિહાર વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના અગાઉ રાજ્યની મતદારયાદીનું
સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન શરૂ કર્યું છે. આ કામગીરી 2પમી
જુલાઈ સુધી આટોપી લેવા પંચે કમર કસી છે. આમ 2પ દિવસની અંદર રાજ્યની આખી
મતદારયાદીને બદલી નખાશે. સ્વાભાવિક રીતે આ પગલાંએ વિપક્ષો અને મતદારોમાં ભારે
ખળભળાટ જગાવ્યો છે. ખાસ તો પંચના ઈરાદા
સામેની શંકા વધુ તીવ્ર બની રહી છે. બિહારના લગભગ સાત કરોડ 89 લાખ
મતદારની આ યાદી માત્ર 2પ દિવસમાં આખી સુધારી નાખવા પંચ
દિવસ-રાત એક કરશે. આ સમયગાળા દરમ્યાન તમામ મતદારોનાં ફોર્મ અને દસ્તાવેજ જમા કરાશે
અને તેની ચકાસણી પણ કરી લેવાશે. આ કાર્યવાહી બાદ પહેલી સપ્ટેમ્બરે નવી સુધારેલી
મતદારયાદી જાહેર કરાશે, પણ આ કાર્યવાહીને લગતા સવાલો ઊભા થવા લાગ્યા છે.ખાસ તો જરૂરી દસ્તાવેજોની
અનિવાર્ય યાદી જાહેર કરાઈ છે, તેને લીધે સંખ્યાબંધ મતદારોનાં
નામ યાદીમાંથી કમી થઈ જાય તેમ છે. સાથોસાથ રાજ્યની બહાર વ્યવસાયઅર્થે ગયેલા
બિહારના નાગરિકોની સંખ્યા લગભગ ત્રણ કરોડ જેટલી થાય છે. તેઓ મતદારયાદી માટેના
ફોર્મ અને તેના દસ્તાવેજ કઈ રીતે એકઠા કરીને આટલા ટૂંકા ગાળામાં તે કઈ રીતે જમા
કરાવશે એ એક મોટો સવાલ છે. ખાસ તો મતદારયાદી માટે ચૂંટણીપંચે જે દસ્તાવેજોને માન્ય
રાખવાની જાહેરાત કરી છે, તેમાંના મોટાભાગના દસ્તાવેજનો
શિક્ષિત અને પહોંચેલા પામેલા વર્ગની માટે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. બાકી નબળા
વર્ગના મતદારો માટે બહુ ટૂંકા ગાળામાં આ દસ્તાવેજ
મેળવવાનું લગભગ અશક્ય બની રહે તેમ છે. બિહારના સરહદી વિસ્તારોમાં લઘુમતી
મતદારો વાસ્તવમાં બાંગલાદેશી હોવાનો આરોપ
ભાજપના નેતાઓ મુકતા રહ્યા છે. હવે
મતદારયાદી સુધારવાની કવાયતનાં કારણોમાં ચૂંટણીપંચ ગેરકાયદે નાગરિકોનાં નામ
મતદારયાદીમાં સામેલ થઈ ગયા હોવાનું કારણ દર્શાવે છે. પંચે સ્વીકાર્યું છે કે,
આ કાર્યવાહીથી 2003 બાદ મતદારયાદીમાં સમાવાયેલા લગભગ
37 ટકા
મતદારોને અસર થશે. ચૂંટણીપંચની આ નવી કવાયતથી સ્વાભાવિક રીતે તેની છબીને અસર પડશે
અને વિપક્ષને તેના આરોપો વધુ આકરા કરવાનો તક મળશે.