ભુજ, તા. 12 : કચ્છના સર્વાંગી વિકાસમાં ચેમ્બરના
પ્રમુખ તરીકે રાજેશ ભટ્ટે આપેલું યોગદાન કચ્છ સદાય યાદ રાખશે તેવું સ્મરણાંજલિ કાર્યક્રમમાં
ઉપસ્થિત અગ્રણીઓએ પોતાની લાગણી વ્યક્ત કરતાં આ મુજબ કહ્યું હતું. કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ
એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક પ્રમુખ રાજેશભાઈ ભટ્ટને સ્મરણાંજલિ અર્પવા માટે ચેમ્બરના
સભ્યો દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્મરણથી સંકલ્પ સુધીના આ યાદગાર પ્રસંગે
રાજકીય મહાનુભાવો, અલગ-અલગ સંસ્થાના
હોદ્દેદારો તથા કચ્છના પ્રબુદ્ધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો સાંસદ વિનોદ
ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ રાજ્યમંત્રી
વાસણભાઈ આહીર, કલેક્ટર અનિલ રાણાવસિયા, ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ, અગ્રણી
ધારાશાત્રી શંકરભાઈ સચદે, રાજપરિવારના કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજા,
કચ્છ ક્રિકેટ એસો. પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા તથા સ્વ. રાજેશભાઈના
પરિવારની હાજરીમાં પ્રારંભ થયો હતો. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, કેશુભાઈ પટેલ, વાસણભાઈ આહીર, નગરપતિ
શીતલભાઈ શાહ, ઝવેરીલાલ સોનેજી, પ્રબોધ મુનવર,
અવિનાશભાઈ ઠક્કર, કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ,
રવીન્દ્ર ત્રવાડી, જયેન્દ્ર ઉપાધ્યાય, અક્ષય ઠક્કર સહિતે સદ્ગત સાથેની જૂની યાદો તાજી કરી હતી. કાર્યક્રમ દરમ્યાન
સ્વ. રાજેશ ભટ્ટની જીવનયાત્રાની સચિત્ર ડોક્યુમેન્ટરીનું જીવંત પ્રસારણ કરાયું હતું.
રાજેશભાઈએ છેલ્લા બાવીસ વર્ષથી નિભાવેલી અવિરત સેવા, જવાબદારી
બદલના ઋણસ્વીકારની ભાવનાથી હાજર રહેલા મહાનુભાવો, સંસ્થાના સભ્યો
દ્વારા સદ્ગતના પરિવારને ખાસ મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આભારવિધિ નીલેશભાઈ
ભટ્ટે કરી હતી. સંચાલન ચેમ્બરના અશોક વોરા, દિલીપ કોરડિયા,
સંજય ઉપાધ્યાય, કર્નલ જોહર, નિકુંજ ભટ્ટ, નીલેશ ભટ્ટ, મીત ઠક્કર,
મિતુલ મહેતા, અક્ષય ઠક્કર સહિતે સંભાળી હતી.