નખત્રાણા, તા. 12 : અહીં બાપજી મહારાજ સમુદાયના
આચાર્ય ધર્મઘોષસૂરિશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તી સાધ્વીવર્યા કલાવંતીજી મ.સ. આદિઠાણા-4નો ચાતુર્માસ પ્રવેશ થયો. આ પ્રસંગે સવારે
સાધ્વીજીનું સામૈયું ચંપાબેન હંસરાજભાઈ શાહ પરિવારના નિવાસસ્થાનેથી શહેરના મુખ્ય માર્ગો
પર ફરી જિનાલય પાસે આવેલા ઉપાશ્રયે પ્રવેશ થયો હતો. સાધ્વીજીએ માંગલિક સંભળાવી ચાતુર્માસ
દરમિયાન તપ-જપ, અનુષ્ઠાન, જીવદયા, અનુકંપા કરવાની પ્રેરણા આપી હતી, આ તકે ગુરુપૂજનનો લાભ મંજુલાબેન મોણશીભાઈ શાહ પરિવાર તથા કામળી વહોરાવવાનો
તથા માંગલિક આયંબિલનો લાભ સુરેશકુમાર કાનજીભાઈ મહેતા (વિથોણવાળા) પરિવારે લીધો હતો.
આ પ્રસંગે ભુજ, માધાપર, માંડવી,
અંજારના શ્રાવક-શ્રાવિકાઓ તેમજ નખત્રાણા સંઘમાં કચ્છમાં વસતા શ્રાવક-શ્રાવિકાઓ
હાજર રહ્યા હતા. સંઘની બહેનો દ્વારા ઉપાશ્રય શણગારવામાં આવ્યો હતો તેમજ બેડા તથા વિવિધ
પ્રકારની ગહુલી કરવામાં આવી હતી. સંઘના યુવાનો તથા ટ્રસ્ટીઓએ કાર્યક્રમને સફળ બનાવવા
માટે જહેમત ઉઠાવી હતી તેવું નખત્રાણા જૈન સંઘના ટ્રસ્ટીઓની યાદીમાં જણાવાયું છે.