ભુજ, તા. 13 : અધિક જેઠ બાદ હવે જેઠ માસ પૂર્ણતાના આરે છે. આમ
છતાં કચ્છમાં સાર્વત્રિક મેઘકૃપા વરસી નથી, ત્યારે હજુ
આગામી સપ્તાહ દરમિયાન જિલ્લામાં મેઘમહેર થાય તેવી શક્યતા ખૂબ ઓછી હોવાનું હવામાન
વિભાગના વર્તારામાં અનુમાન વ્યક્ત કરાયું છે. જિલ્લામાં ચારેક દિવસથી તેજ ગતિએ
ફૂંકાઇ રહેલા પવનની ઝડપમાં આજે બપોર બાદ આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. આમ છતાં
જિલ્લામાં સરેરાશ 20થી 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનું
જારી રહેતાં ધૂંધળો માહોલ વાતાવરણમાં જળવાયેલો રહ્યો હતો. ભુજ અને કંડલા પોર્ટમાં 35, કંડલા
(એ.)માં 35.6 ડિગ્રી
મહત્તમ સામે લઘુતમ તાપમાન 27થી 29 ડિગ્રી વચ્ચે નોંધાતાં
વાતાવરણમાં ભેજયુક્ત ઉકળાટ જળવાયેલો રહ્યો હતો. હવામાન શાત્રીઓના મતે જુલાઇના
અંતિમ સપ્તાહમાં એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જો આ
સિસ્ટમ સાનુકૂળ રીતે આગળ વધશે તો રાજ્યની સાથે કચ્છમાં પણ વરસાદનો એક સારો રાઉન્ડ
આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લામાં વરસાદના દિવસો જેમ જેમ
ખેંચાઇ રહ્યા છે તેમ તેમ પાણી, ઘાસચારાની સ્થિતિ વિકટ બનતી
દેખાઇ રહી છે.
ગ્રહ-નક્ષત્ર
દ્વારા સારા વરસાદના સંકેત વ્યક્ત
ભુજ, તા. 13 : અલ નીનોની અસરનાં કારણે ચાલુ વર્ષે ચોમાસાંમાં
વરસાદ અસમાન રહ્યો છે. હવામાનની આ કુદરતી ઘટના દર છ-સાત વર્ષે સર્જાતી હોવાનું
જ્યોતિષાચાર્ય ડો. શશિકાંત આચાર્યએ જણાવ્યું હતું. નૈઋઍત્યનું ચોમાસું જૂનમાં આગળ
વધતાં અટકી ગયું અને જુલાઇમાં સક્રિય થયું છે. જ્યોતિષીય ગ્રહયોગના આધારે 14 જુલાઇથી
ચંદ્ર-ગુરુની વૃત્તિ જળતત્ત્વને અનુકૂળ સ્થિતિ સર્જાતાં તા. 17-19 જુલાઇમાં
વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઇ હતી. તા. 24થી 26 જુલાઇ
ગુજરાતમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના દર્શાવાઇ છે. પુનર્વસુ અને પુષ્ય બંને
નક્ષત્ર વરસાદ માટે અનુકૂળ માનવામાં આવે છે. આમ, પાછોતરો
વરસાદ સારો થવાની આશા વ્યક્ત કરાઇ છે.