ભુજ, તા. 5 : ગુજરાત સરકાર દ્વારા સરદાર
વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના
અવસર પર આયોજિત એક રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન અંતર્ગત ` યુનિટી માર્ચ' એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાની તૈયારીઓ અને આયોજનના
ભાગરૂપે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ભુજ ખાતે બેઠક
યોજાઈ હતી. ઉજવણી સંદર્ભે રથનું આગમન થશે. આ સાથે જ કચ્છમાં વિધાનસભા વિસ્તાર વાઈઝ
એકતા યાત્રા કચ્છમાં તા. 09 અબડાસા, 10 રાપર, 13 માંડવી, 14 અંજાર, 15 ભુજ તેમજ
16ના ગાંધીધામ ખાતે યોજાશે. આ એકતા યાત્રા
દરમિયાન સરદાર સ્મૃતિ માટે વૃક્ષારોપણ, એનએસએસ કેમ્પ, રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાઓની સફાઈનું
અભિયાન, સ્વચ્છતા અભિયાન, એકતા શપથ,
આરોગ્ય શિબિર, સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત,
યોગ શિબિર, શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે.
પદયાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ,
એનસીસી, એનએસએસ, સહકારી મંડળીઓ,
વિવિધ રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતો, સામાજિક સંસ્થાઓ, આગેવાનો સ્થાનિક સ્વરાજની સંસ્થાના
પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપના તમામ નાગરિકો પદયાત્રામાં જોડાશે.
કલેક્ટરે પદયાત્રા આયોજન અંગે વિસ્તૃતમાં માહિતી આપીને અધિકારીઓને માર્ગદર્શન પૂરું
પાડ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ ભાગીદારી સાથે યાત્રા યોજવા અને સરકારની
તથા સામાજિક સંસ્થાઓને સક્રિય રીતે ભાગ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. બેઠકમાં ગાંધીધામ
મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ
ગૌતમ, નિવાસી અધિક કલેક્ટર ડી. પી. ચૌહાણ, પૂર્વ કચ્છ નાયબ વનસંરક્ષક આયુષ વર્મા, નાયબ જિલ્લા વિકાસ
અધિકારી સી.આર. પ્રજાપતિ સહિત તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્લાના
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.