જયપુર, તા. 28 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ વિધાનસભા ચૂંટણીઓની વધુ ગતિશીલ બનેલી તૈયારી વચ્ચે ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પરિવર્તન યાત્રાઓમાં ભીડ એકઠી નહીં થવા તેમજ નેતાઓના આંતરિક જૂથવાદ સામે નારાજગી દર્શાવી હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ, શાહ અને નડ્ડાએ જયપુરની એક હોટલમાં ગઇકાલે બુધવારની મોડી રાત સુધી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ અને અન્ય પ્રમુખ નેતાઓ સાથે બેઠક કરી હતી. જૂથવાદનાં કારણે સ્થાનિક નેતાઓમાં વિરોધથી ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ નારાજ થયા હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન, અચાનક જ આજે આ બન્ને નેતાઓની સંઘ પદાધિકારીઓ સાથે થનારી બેઠક તેમજ અન્ય કાર્યક્રમો રદ્દ થઇ ગયા હતા અને બન્ને દિલ્હી રવાના થઇ ગયા હતા. બેઠકમાંથી બહાર આવ્યા બાદ કેન્દ્રિય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સાંસદોને ચૂંટણી લડાવવાના પ્રશ્ન પર કહ્યું હતું કે, તે પક્ષનું નેતૃત્વ નક્કી કરશે. કોઇપણ વરિષ્ઠ નેતાની અવગણના કરાઇ રહી નથી. સૌ સાથે મળીને આગળ વધી રહ્યા છે, તેવું એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું. આજે સવારે શાહ અને નડ્ડાને મળવા પ્રદેશના અનેક નેતા હોટલમાં પહોંચ્યા હતા. સંઘના પ્રચારક પ્રકાશચંદને ચૂંટણી માટે મોટી જવાબદારી અપાય તેવી શકયતા છે.