અંજાર, તા. 18 : તાલુકાના વરસામેડી ગામમાં ખાનગી બેન્ક દ્વારા ગ્રાહકોને પૂરતી
સુવિધા ન અપાતી હોવાની ફરીયાદો ઊઠી છે. ગ્રાહકો દ્વારા એકસીસ બેંક દ્વારા પૂરતી સુવિધા
ન અપાતી હોવાની ફરિયાદ કરાઈ હતી તેમજ બેંકની
બહાર એ.ટી.એમ. મશીનોમાં અવારનવાર ટેકનિકલ ખામી
સર્જાય છે. વધુમાં સ્થાનિક ખાતાધારકોએ જણાવ્યું હતું કે, વિવિધ પ્રકારની અસુવિધા માટે બેંક મેનેજરને
અવારનવાર રજૂઆત પણ કરાઈ હતી. તેમ છતાં હકારાત્મક પરિણામ સાંપડયું ન હતું. બેંકના એટીએમ
બંધ હોવાના કારણે ખાતાધારકોને અન્ય બેંકના એ.ટી.એમ. મશીનનો ઉપયોગ કરવાની ફરજ પડે છે. જેના કારણે ગ્રાહકોને વધારાના ખર્ચનું ભારણ સહન કરવું પડે છે. સત્વરે નવા એ.ટી.એમ.
મૂકવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આગામી સમયમાં
આ સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો ઉચ્ચકક્ષાએ
રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.