• ગુરુવાર, 19 માર્ચ, 2026

રાજ્યસભા ચૂંટણી પરિણામ : આત્મમંથન કરે વિપક્ષો

સંસદમાં મોદી સરકાર સામે વિરોધનો પ્રસ્તાવ રજૂ કરવામાં વિપક્ષી એકતા બતાવનાર નેતાઓ રાજ્યસભાની ચૂંટણીમાં એકતા સાબિત કરી શક્યા નથી. બિહાર, ઓડિશા અને હરિયાણા મળીને કુલ અગિયાર બેઠકો માટે વિધાનસભ્યોએ વોટ આપવાના હતા તેમાં વિપક્ષી વિધાનસભ્યો વોટ આપવા આવ્યા જ નહીં અને કેટલાક સભ્યોએ આવીને ભાજપના ઉમેદવારોને વોટ આપ્યા. પરિણામે ભાજપને સાત બેઠકો મળી છે. હરિયાણાની બે બેઠકોમાં મતદાન થયા પછી વિવાદ થયો અને મતગણતરી મોડી રાત સુધી મોકૂફ રાખવી પડી. આગામી એપ્રિલ મહિનામાં રાજ્યસભાની કુલ 37 બેઠકો ખાલી પડી રહી છે તેમાંથી 26 બેઠકોના ઉમેદવારો વિનાવિરોધે ચૂંટાઈ ગયા છે. બાકીની અગિયાર બેઠકોની ચૂંટણી થઈ તેમાં વિપક્ષી એકતાનો દાવો પોકળ સાબિત થયો છે! હવે બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ અને ઓડિશાના પૂર્વ મુખ્યપ્રધાન નવીન પટનાયક ભાજપ સામે ફરિયાદ કરે અને આક્ષેપો કરે છે, પણ પોતાના સભ્યોને તેઓ સાચવી શક્યા નહીં તે હકીકત છે. બિહારમાં તો મહાગઠબંધનના નામે ચૂંટાયેલા સભ્યોમાંથી કોંગ્રેસના ત્રણ સભ્યો મત આપવા આવ્યા જ નહીં. આરજેડીના સભ્ય ફૈઝલ રહેમાન પણ `ગેરહાજર' રહ્યા. સૌના મોબાઇલ ફોન બંધ - સંપર્ક ક્ષેત્રથી બહાર રહ્યા પરિણામે મહાગઠબંધનની નામોશી થઈ. બિહારની પાંચ બેઠકોમાંથી એક બેઠક જીતવાની આશા મહાગઠબંધનને હતી.. કારણ કે, ઓવૈસીના પાંચ અને બહુજન સમાજના એક સભ્યનો વોટ મળવાની ખાતરી હતી, પણ મતદાનમાં કોંગ્રેસના ત્રણ અને આરજેડીના એક સભ્ય ગાયબ હતા! ઓડિશામાં પણ કોંગ્રેસના ત્રણ અને બીજેડી (બીજુ જનતા દળ)ના આઠ સભ્યોએ ભાજપના ઉમેદવારને જીતાડી દીધા. બીજેડીના સસ્પેન્ડ થયેલા બે સભ્યોએ પણ ભાજપના દિલીપ રાયને મત આપ્યા. આમ - બિહારમાં તેજસ્વી લાલુ યાદવ અને ઓડિશામાં નવીન પટનાયકનાં નાક કપાયાં છે! નવીન પટનાયકે તો કોંગ્રેસ સાથે ભાગીદારી કરીને સમર્થન મેળવ્યું હતું! કોંગ્રેસની નેતાગીરીની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાનું ધોવાણ થયું છે. રાજ્યસભા ચૂંટણીએ ફરી એકવાર એ સાબિત કરી આપ્યું છે કે, રાજનીતિ માત્ર આંકડાની રમત નથી, સંગઠન, શિસ્ત અને નેતૃત્વની પણ પરીક્ષા છે. જે કંઇ બન્યું એમાં વિરોધ પક્ષની આંતરિક નબળાઇ પ્રસ્થાપિત થઇ છે. કોંગ્રેસ અને તેના નેતાઓ માટે તો મોટી લપડાક છે. ઇન્દિરા ગાંધી અને પી.વી. નરસિંહરાવના વખતનો યુગ કોંગ્રેસ માટે હવે સપનું જ રહી ગયો છે. પક્ષપ્રમુખ ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંગઠનાત્મક કમજોરી સ્વીકારીને જાગવાની જરૂર છે. એક-દોઢ મહિના દરમ્યાન પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાશે. એ પહેલાં કોંગ્રેસ અને બીજા વિપક્ષોને રાજ્યસભા ચૂંટણીથી નિરાશા થઇ હશે એ સ્વાભાવિક છે. 

Panchang

dd