નવી દિલ્હી, તા. 17 : છીછરાઈની
છેલ્લી હદ વટાવી રહેલાં પાકિસ્તાને પોતાના નાપાક ઈરાદાની પ્રતીતિ ફરી કરાવી છે. પાકે
પીઓકેના ગિલગિટ-બાલતિસ્તાન ક્ષેત્રને પોતાનો પાંચમો પ્રાંત બનાવવાની દિશામાં વિવાદાસ્પદ
પગલું ભર્યું છે. વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કરાવીને પાક સરકારને બંધારણમાં સુધારો
કરીને આ ક્ષેત્રને પાંચમો પ્રાંત ઘોષિત કરવાની માંગ કરાઈ હતી. પ્રસ્તાવમાં ગિલગિટ-બાલ્તિસ્તાન
ક્ષેત્રને પાકિસ્તાનની રાષ્ટ્રીય વિધાનસભા અને સેનેટમાં પ્રતિનિધિત્વ આપવાની માંગ કરાઈ
છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે પાક બલુચિસ્તાનમાં વધતી હિંસા અને ખૈબર પખ્તુંખ્વામાં વધતા વિદ્રોહ
જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, આ પગલું ભરીને સરકાર અને સેના આંતરિક સંકટથી ધ્યાન હટાવવા સાથે કબજાવાળા ભાગ
પર પોતાનો દાવો મજબૂત બતાવવા કોશિશ કરે છે. હાલ તો પાકિસ્તાનનાં બંધારણમાં માત્ર પંજાબ,
સિંધ, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુંખ્વા સત્તાવાર પ્રાંત છે. ગિલગિટ - બાલતિસ્તાન
હજુ સુધી એક સીમિત, સ્વાયત્ત સંસ્થા હેઠળ ચાલે છે, જેને પાકનો પ્રાંત બતાવવાનો કારસો ઘડાયો છે. ભારતે આવી હિલચાલની ગંભીર નોંધ
લેતાં કહ્યું હતું કે, ગિલ્લાટ-બાલતિસ્તાન અને લદ્દાખ સહિત સમગ્ર
જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને રહેશે.