• રવિવાર, 19 જુલાઈ, 2026

ઓસમાણ મીરની યુટયુબ ચેનલ પર કટારી કાળજે વાગી આજે રિલીઝ

ભુજ, તા. 18 : ગુજરાતી ગઝલ જગતની અમર રચના `કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે' હવે ઐતિહાસિક વળાંક પર છે. ઓસમાણ મીરની યુટયુબ ચેનલ પર રિલીઝ થનારી આ નવી પ્રસ્તુતિમાં બોલીવૂડની સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે પ્રથમ વખત ગુજરાતી ગઝલમાં પોતાનો સૂર રેલાવ્યો છે. તેમની સાથે ઓસમાણ મીરના પુત્ર, યુવા ગાયક આમિર મીરે પણ અવાજ આપ્યો છે. આ રચનામાં શ્રેયા ઘોષાલનું ગુજરાતી ગઝલમાં ડેબ્યૂ થયું છે. અનેક ભાષાઓમાં હજારો ગીત ગાનાર શ્રેયા ઘોષાલ માટે આ ગુજરાતી ગઝલ ક્ષેત્રે પહેલું પગલું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આ કલાકારનો અવાજ જ્યારે `કટારી કાળજે વાગી' સાથે જોડાયો ત્યારે ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે આ ગર્વની ક્ષણ બની ગઈ છે. લોકગાયક ઓસમાણ મીરના પુત્ર આમિર મીર હવે ગુજરાતી સંગીતમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. બાળપણથી જ પિતા પાસેથી સંગીતના સંસ્કાર પામેલા આમિરે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. `કટારી કાળજે વાગી' જેવી ઐતિહાસિક રચનામાં શ્રેયા ઘોષાલ જેવા દિગ્ગજ કલાકાર સાથે આમિરનો અવાજ ગઝલને ચાર ચાંદ લગાવે છે. આમિરનો મીઠો અને સુરીલો અવાજ આ ગઝલને યુવા પેઢી સાથે જોડવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. આ ગઝલનો ઇતિહાસ 25 વર્ષ જૂનો છે. અંજારના કવિ વિનોદ માણેક `ચાતક' દ્વારા લખાયેલી આ રચનાને ઓસમાણ મીરે રાગ ચારુકેશીમાં કંપોઝ કરીને સ્વરબદ્ધ કરી હતી. આ ગઝલ એટલી બધી લોકપ્રિય થઈ કે, 75થી વધારે ગાયક કલાકાર તેને પોતાના કંઠે ગાઈ ચૂક્યા છે. ગઝલ, ભજન અને કવ્વાલી એમ ત્રણેય સ્વરૂપે ગવાયેલી આ રચના ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રથી લઈને જમશેદપુર સુધી પહોંચી છે. - નવી પેઢી, નવો સૂર, નવું સંગીત : આ ઐતિહાસિક ગઝલને શ્રેયા ઘોષાલ અને આમિર મીરના સંયુક્ત સ્વરે નવું પરિમાણ મળ્યું છે. આ નવા અવતારમાં સંગીતની જવાબદારી જાણીતા સંગીતકાર અતુલ રાણિંગાએ નિભાવી છે. અતુલ રાણિંગાએ ગઝલના મૂળ ભાવને અકબંધ રાખીને અત્યંત સુરીલું અને હૃદયસ્પર્શી સંગીત આપ્યું છે. ઓસમાણ મીરના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલી આ પ્રસ્તુતિ જૂની યાદોને તાજી કરવાની સાથે નવી પેઢીને પણ ગુજરાતી ગઝલની મીઠાશથી જોડશે. આ પ્રસ્તુતિ 19 જુલાઈ-2026ના ઓસમાણ મીરની સત્તાવાર યુટયુબ ચેનલ પર રિલીઝ થશે. 

Panchang

dd