નવી દિલ્હી, તા. 17 : ભારત દેશની
પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શુક્રવારથી દોડવા લાગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇડ્રોજન
ટ્રેનને લીલીઝંડી આપી હતી, આ ટ્રેન હરિયાણામાં
જિંદથી સોનીપત રવાના થઇ હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જિંદથી સોનીપત વચ્ચે 89 કિ.મી.નું અંતર બે કલાકમાં કાપનારી આ ટ્રેન દુનિયાની સૌથી શકિતશાળી
હાઇડ્રોજન ટ્રેન છે. આ ટ્રેન ભારતના જ એન્જિનીયરોએ ડિઝાઇન કરી છે અને ભારતની જ કંપનીએ
બનાવી હોવાથી આત્મનિર્ભર ભારતમાં મહત્ત્વનું યોગદાન લેખી શકાય. કુલ્લ 10 કોચવાળી આ ટ્રેન જિંદ-સોનીપત
રૂટ પર 14 સ્ટેશનો વચ્ચે મહત્તમ કલાકના
75 કિલોમીટરની ગતિ સાથે દોડશે.
હાઇડ્રોજન ટ્રેનમાં સફર કરવાનું ભાડું માત્ર પાંચથી 25 રૂપિયા રખાયું છે. પહેલા દિવસે
સવારે 11 અને 22 મિનિટે જિંદથી ઊપડેલી આ બપોરે
બરાબર 1 અને 20 મિનિટે સોનીપત પહોંચી ગઇ હતી. એકવાર હાઇડ્રોજન ઇંધણ ભર્યા પછી
ટ્રેન 356 કિ.મી.નું અંતર કાપી શકશે.
રોજની 300 કિલો હાઇડ્રોજનની ખપત રહેશે.
કુલ્લ 682 બેઠકો સાથે 2600 યાત્રી સમાવવાની ટ્રેનની ક્ષમતા છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
જૂની વિપક્ષી સરકારો પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 1925થી 2014 સુધી લગભગ 90 વર્ષમાં રેલ નેટવર્કનું માંડ
30 ટકા જ વીજળીકરણ થયું હતું.
જ્યારે 2014 પછીથી 12 વર્ષમાં 99 ટકા રેલવે નેટવર્કનું વીજળીકરણ
થઇ ચૂકયું છે. હોર્મુઝની યુદ્ધ જેવી સ્થિતિ 2014 પહેલાં સર્જાઇ હતી તો ડીઝલ પુરવઠો પ્રભાવિત થતાં રેલવે સંકટમાં
ફસાઇ જાત, પરંતુ હવે સ્થિતિ બદલી ગઇ છે, તેવું મોદીએ કહ્યું હતું. રમ્યાન પાંચ મહિના બાદ પંજાબ પ્ર્રવાસે પહોંચેલા
વડાપ્રધાન મોદીએ હાઇડ્રોજન ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ ચંદીગઢ પહોંચીને ત્યાં 4700 કરોડ રૂપિયાની વિવિધ યોજનાનાં ઉદ્ઘાટન, પાયાવિધિ કર્યા હતા. ચંદીગઢમાં મંચ પર કોંગ્રેસ
સાંસદ મનીષ તિવારી પણ સાથે જોડાયા હતા. તકતીઓમાં
વિપક્ષી સાંસદો સાથે મુખ્યમંત્રી ભગવંત માનનું પણ નામ હતું. જો કે માન મંચ પર આવ્યા
નહોતા. ચંદીગઢ બાદ જાલંધર પહોંચેલા મોદીએ 5470 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ અમૃતસરના
છેહર્ટાથી વારાણસી સુધી સીટ ગોવર્ધનપુરી - વારાણસી એકસપ્રેસને પણ લીલીઝંડી આપી હતી.
મોદીએ ચંદીગઢ તેમજ જાલંધરમાં કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો કર્યા હતા.