નવી દિલ્હી, તા. 25 : કેન્દ્રીય
ગૃહ મંત્રાલય દ્વારા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર 2026નું એલાન કરવામાં આવ્યું હતું.
ભારતના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માનમાં સામેલ પદ્મ પુરસ્કાર માટે કળા, સાહિત્ય, ચિકિત્સા,
વિજ્ઞાન, ખેલ, સામાજિક સેવા
અને સાર્વજનિક જીવન સહિત વિભિન્ન ક્ષેત્રમાં સમાજ ઉપર સ્થાયી પ્રભાવ છોડનારી વ્યક્તિઓને
સામેલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા કુલ 131 પદ્મ પુરસ્કારને મંજૂરી આપવામાં
આવી છે, જેમાં ધમેન્દ્ર દેઓલને પદ્ધવિભૂષણ (મરણોપરાંત),
અલ્કા યાજ્ઞિકને પદ્મભૂષણ, શિબુ સોરેનને પદ્મભૂષણ
(મરણોપરાંત), રોહિત શર્મા અને હરમનપ્રીત કૌરને પદ્મશ્રી એનાયત
કરવામાં આવ્યો છે. ગુજરાતની કુલ પાંચ પ્રતિભાને પદ્મશ્રી એનાયત થયો છે, જેમાં અરવિંદ વૈદ્ય (કળા), ધાર્મિકલાલ ચૂનીલાલ પંડયા
(કળા), હાજીભાઈ કાસમભાઈ (કળા), નીલેશ મંડલેવાલા
(સોશિયલ વર્ક) અને રતિલાલ બોરીસાગર સામેલ છે. આ વખતે પદ્મવિભૂષણ માટે 5, પદ્મભૂષણ માટે 13 અને પદ્મશ્રી માટે 113 લોકોને પસંદ કરવામાં આવ્યા
છે, જેમાં દેશ વિદેશના સન્મામિત લોકો સામેલ છે.
દિગ્ગજ અભિનેતા ધમેન્દ્ર, કેરળના પૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદને
પદ્મવિભૂષણ (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રસિદ્ધ વાયોલિન વાદક
એન. રાજમ અને વરિષ્ઠ ન્યાયવિદ્ કે.ટી. થોમસ પણ પદ્મવિભૂષણથી સન્માનિત થશે. પદ્મભૂષણ
મેળવનારા લોકોમાં પ્રસિદ્ધ ગાયિકા અલ્કા યાજ્ઞિક, અભિનેતા મમૂટી,
ઉદ્યોગપતિ ઉદય કોટક, વિજ્ઞાપન જગતના દિગ્ગજ પીયૂષ
પાંડે (મરણોપરાંત) અને ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજ સામેલ છે. પદ્મશ્રી પુરસ્કારમાં મોટી
સંખ્યામાં લોકો સામેલ છે, જેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, ક્રિકેટર રોહિત
શર્મા, હોકી ખેલાડી સવિતા પૂનિયા, અભિનેતા
સતીશ શાહ (મરણોપરાંત) સહિતના લોકો સામેલ છે. યાદીમાં 19 મહિલા, છ વિદેશી નાગરિક અને 16 મરણોપરાંત પુરસ્કાર સામેલ છે.