• શનિવાર, 28 જૂન, 2025

પુરી રથયાત્રામાં ભીડ બેકાબૂ : 581 ઘાયલ

નવી દિલ્હી, તા. 27 : ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી. રથયાત્રામાં ભકતોનો મહેરામણ ઊમટયો હતો અને બેકાબુ ભીડને લીધે રથ ખેંચતી વખતે કમસે કમ 581 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમને વધુ ઇજાઓ થઇ છે તેવા આઠને જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભગવાન બલભદ્રનાં તાલધ્વજ રથને ખેંચતી વખતે આ દુર્ઘટના સર્જાઇ હતી. 12 દિવસ ચાલનારી રથયાત્રા માટે ભક્તો ખૂબ જ ઉત્સાહિત હતા. ભારે ભીડને લીધે સ્થિતિ બેકાબૂ બની હતી. ઓરિસ્સાના પુરી ઉપરાંત દેશના અલગ-અલગ ખૂણે પણ ધામધૂમથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વગેરેએ દેશવાસીઓને જગન્નાથ રથયાત્રાની  શુભકામના પાઠવી હતી.  પુરીના જગન્નાથમાં પરંપરાગત અનુષ્ઠાનો કરવામાં આવ્યા હતા, જેમાં પહેલા પહિંદી અનુષ્ઠાન થયું હતું, જેમાં ભગવાન બળભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથને રથયાત્રા માટે 12 સદીના મંદિરથી સંબંધિત રથ સુધી લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી દેવી સુભદ્રા દર્પદલન રથ ઉપર બેઠાં હતાં, જ્યારે ભગવાન બળભદ્ર તાલધ્વજ રથ ઉપર બિરાજ્યા હતા, જ્યારે ભગવાન જગન્નાથ બહાર આવ્યા ત્યારે ભાવનાઓનું ઘોડાપૂર ઊમટયું હતું અને ભગવાને હાથ ઉપર કરીને જય જગન્નાથના ગગનભેદી નારા લગાડયા હતા. ઓરિસ્સાના પુરીમાં રથયાત્રા ઉત્સવ પહેલાં પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે કહ્યું હતું કે, શ્રદ્ધા અને ભક્તિનો પાવન ઉત્સવ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે. આ જ કામના છે. જય જગન્નાથ. રથયાત્રામાં 10-12 લાખ લોકો એકત્રિત થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જેને ધ્યાને રાખીને પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ થઈ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd