• શનિવાર, 28 જૂન, 2025

બંધારણમાંથી હટે ધર્મનિરપેક્ષ શબ્દ : હોસબાલે

નવી દિલ્હી, તા. 27 : રાષ્ટ્રીય સ્વયંસેવકના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેએ કહ્યું હતું કે, દેશના બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દો દૂર કરવા જોઇએ. તેમના આ બયાનને પગલે રાજકીય ઘમસાણ મચ્યું છે. કોંગ્રેસે આ બયાનો  અનામત વિરોધી માનસિકતા ગણાવ્યા હતા, તો ભાજપે પલટવાર કર્યો હતો અને કોંગ્રેસ આજે પણ કટોકટીની ભાવના સાથે જીવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે 50 વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી માટે માફી માગવી જોઇએ. 1975માં કોંગ્રેસ સરકારે કટોકટી દરમિયાન સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દો ઉમેર્યા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં એક કાર્યક્રમમાં હોસબાલેએ કહ્યું કે, કટોકટી લાદનારા આજે બંધારણને  ખિસ્સામાં લઇને ફરે છે. તેમણે આજ સુધી દેશના લોકોની માફી માંગી નથી. તેમણે દેશની માફી માગવી જોઇએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આર.એસ.એસ.નું મહોરું ઊતરી ગયું છે. તેઓ બંધારણ નહીં પણ મનુસ્મૃતિ ઇચ્છી રહ્યા છે. સંવિધાન સમાનતા અને ધર્મનિરપેક્ષતાની વાત કરતું હોવાથી તેમને ગમતું નથી. કેન્દ્રીયમંત્રી ડો. જિતેન્દ્રસિંહે હોસબાલેનાં નિવેદનને પરોક્ષ સમર્થનમાં જણાવ્યું હતું કે, શા માટે નહીં ? સાચી દિશામાં વિચારનારો દરેક નાગરિક (બંધારણની પ્રસ્તાવનામાંથી ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દ દૂર કરવા) આ વાતને સમર્થન આપશે કારણ કે મૂળ બંધારણમાં એમ નહોતું. કટોકટીના દિવસોને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, એક લાખ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ન્યાયતંત્ર લકવાગ્રસ્ત હતું, પરંતુ કોંગ્રેસે માફી માંગી નહીં. તેમણે કહ્યું હતું કે, કટોકટી દરમિયાન 60 લાખ  લોકોની બળજબરીથી નસબંધી કરવામાં આવી હતી અને 250 પત્રકારને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ભૂલ તમારા પૂર્વજોએ કરી હતી. આ માટે તમારે દેશની માફી માગવી જોઇએ. હોસબાલેએ જણાવ્યું હતું કે, કટોકટી દરમિયાન બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. આ બે શબ્દ રહેવા જોઇએ કે નહીં તે ધ્યાનમાં લેવું જોઇએ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા  બનાવવામાં  આવેલાં બંધારણની પ્રસ્તાવનામાં આ બે શબ્દ નહોતા. દરમ્યાન કોંગ્રેસે હોસબાલેનાં નિવેદનને અનામત વિરોધી માનસિકતા ગણાવી હતી જ્યારે ઇન્ડિયા યુતિના નેતાઓએ તેને બંધારણના મૂળભૂત માળખાં પર હુમલો  ગણાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ નિવેદન અનુસૂચિત જાતિ, પછાત અને લઘુમતી વિરોધી એજન્ડાને ઉજાગર કરે છે. આ લોકો બંધારણ બદલવાની વાત કરે છે. કારણ કે, તેઓ સમાવિષ્ટ ભારતથી ડરે છે. સંઘ અને ભાજપના ઇરાદા હવે બધાને ખબર પડી ગયા છે. ભાજપે હોસબાલેનો બચાવ કરતા કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો અને  પાર્ટીએ કહ્યું હતું કે, જેમણે કટોકટી લાદી હતી. તેઓ જ આજે બંધારણ વિશે વાત કરી રહ્યા છે. ભાજપે પુનરોચ્ચાર કર્યો કે, તે બંધારણની મૂળ ભાવનાનું સંપૂર્ણ રક્ષણ કરે છે, પરંતુ કોંગ્રેસ હજુ પણ કટોકટી અને સરમુખત્યારશાહીની માનસિકતા સાથે જીવી રહી છે. કોંગ્રેસે બંધારણ સાથે સૌથી મોટી છેડછાડ કરી હતી. આપણને શીખવવાની જરૂર નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd