નવી દિલ્હી, તા.27 : બાંગલાદેશમાં
વચગાળાના સરકાર દ્વારા જ દુર્ગા મંદિરને તોડી પડાતાં ભડકેલો હિન્દુ સમુદાય ઢાકાના શાહબાગમાં
મોટી સંખ્યામાં ઊતરી પડયો હતો. શાહબાગમાં એકત્ર
થયેલા હિન્દુઓએ ખીલખેતમાં દુર્ગા મંદિર તોડવાના સરકારના નિર્ણય સામે વિરોધમાં માનવ-શ્રૃંખલા
બનાવી હતી. બાંગલાદેશ હિન્દુ બૌદ્ધ ક્રિશ્ચિયન એકતા કાઉન્સિલના કાર્યવાહક મહામંત્રી
મણિન્દ્રકુમાર નાથજ્ઞે કહ્યું કે બાંગલાદેશ સનાતની સમૂહના લોકો આ પગલાંનો વિરોધ વ્યક્ત
કરે છે. આવતીકાલે ઢાકા પ્રેસ ક્લબ સામે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. નાથે કહ્યું
કે ગઈકાલે ઢાકાની રેલવે લાઈન પાસે સરકારી બુલડોઝર વડે મંદિરને તોડી પાડવામાં આવ્યું
હતું. અમે આ પ્રકારના વિનાશકારી અને હિંસક ધાર્મિક ઉન્માદની આકરી નિંદા કરીએ છીએ. ઉલ્લેખનીય
છે કે બાંગલાદેશના રેલવે અધિકારીઓએ ગઈકાલે ઢાકાના ખીલખેતમાં રેલવેની જમીન પર બનેલા
દુર્ગા મંદિરને તોડી પાડયું હતું. રેલવે અધિકારીઓએ
એવો બચાવ કર્યો હતો કે મંદિર ગેરકાયદે બનાવવામાં આવ્યું હોવાથી તોડવામાં આવ્યું હતું.
મંદિર સમિતિએ આરોપ લગાવ્યો હતો કે સોમવારે
રાત્રે જ્યારે મંદિરમાં પૂજા ચાલી રહી હતી તે વખતે 500થી વધુનું ટોળું મંદિરમાં ધસી આવ્યું હતું.