• શનિવાર, 28 જૂન, 2025

જય જગન્નાથના નાદથી ગાંધીધામ ગુંજી ઊઠયું

ગાંધીધામ, તા. 27 : આષાઢી બીજ અને કચ્છી નવાં વર્ષના દિવસે  તાલુકાનાં ગળપાદર, વર્ધમાન નગર ખાતે ભગવાન જગન્નાથની  ભવ્ય શોભાયાત્રા  નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. જય જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષ 2011થી દર વર્ષે પરંપરાગત રીતે  ભગવાન જગન્નાથની ઉત્સાહભેર શોભાયાત્રા કાઢવામાં આવે છે. ભગવાનની નગરચર્યા માટેના રથને તૈયાર કરવા માટે તડામાર તૈયારીઓ ચાલતી હોય છે. આજે સવારે વર્ધમાન નગર ખાતેથી સંગીતના તાલે ભગવાન જગન્નાથની શોભાયાત્રા નીકળી હતી. પ્રારંભમાં ઉપસ્થિત જિલ્લા ભાજપના ધવલભાઈ આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, પૂર્વ સુધરાઈ પ્રમુખ તેજશ શેઠ, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમાર, ધનજીભાઈ હુંબલ,પૂર્વ કચ્છ  પોલીસવડા સાગર બાગમાર, નાયબ પોલીસવડા મુકેશ ચૌધરી સહિતનાએ  દર્શનનો લાભ લઈને રથને આગળ ધપાવ્યો હતો.ભગવાનની રથયાત્રા  રાજવી ફાટક થઈ રોટરી સર્કલ, ઓસ્લો ચાર રસ્તાથી શહેરની મુખ્ય બજારમાં, રેલવે કોલોની ખાતે પહોંચી હતી. રથયાત્રાના રૂટે આસ્થાળુઓ માટે સેવાકીય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાને પુષ્પવર્ષા સાથે આવકાર આપવામાં આવ્યો હતો. ભગવાનના રથને આગળ ધપાવવા માટે મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો જય જગન્નાથના નાદથી  ગુંજી ઉઠયા હતા. રેલવે કોલોની, શિવમંદિર ખાતે ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે. સાત દિવસ સુધી અહીં સંધ્યા આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.  સમગ્ર આયોજનમાં આયોજક સમિતિના પ્રકાશ સિંઘ, શત્રુધ્ન દલાઈ, દઘાદરદાસ, વિક્રમ સંપતિ, ગુણોનિધી પલાઈ વિગેરેએ સહકાર આપ્યો હતો.કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજના   અગ્રણી હાજી જુમા રાયમા, સૈયદ અનુબાપુ, હુશેન આગરિયા, ઈતેહાદુલ મુસ્લેમીન હિંદના રાષ્ટ્રીય પ્રમુખ મહમદ આગરિયા, ગાંધીધામ સુન્ની મુસ્લિમ હીત રક્ષક સમિતિના  પ્રમુખ શાહનવાઝ શેખ સહિતના દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અગ્રણીઓએ  કચ્છીઓને નવાં વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ભરતભાઈ સોલંકી, ગાંધીધામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, બક્ષપંચ મોરચાના ચેરમેન લાલજીભાઈ સથવારા, અરૂણભાઈ હલાણી, વાલજીભાઈ મહેશ્વરી, શહેર મહામંત્રી લતીફ ખલીફા દ્વારા પણ  રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd