નવી દિલ્હી, તા. 27 : આતંકપરસ્ત પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર સ્થગિત કર્યા બાદ ભારત
હવે બાંગલાદેશ સાથે ગંગા નદીનાં પાણીની વહેંચણી અંગેની શરતોમાં ફેરફારની વિચારણા કરી
રહ્યું છે. એક મીડિયાના અહેવાલમાં જણાવાયું હતું કે,
બાંગલાદેશ સાથે સંધિમાં બદલાવ માટે ભારત અલગ- અલગ વિકલ્પો વિચારી રહ્યું
છે. ભારત અને બાંગલાદેશ વચ્ચે 1996માં ગંગા નદી માટે સમજૂતી થઈ
હતી. બાંગલાદેશમાં શેખ હસીનાના કાર્યકાળ દરમ્યાન 30 વર્ષ માટે આ કરાર થયા હતા. આગામી વર્ષે આ કરાર પૂરા થવા જઈ રહ્યા
છે. ભારતીય પક્ષને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે, ગરમીના સમય દરમ્યાન પશ્ચિમ બંગાળની વધતી જળમાંગ,
બંદરોનું સંચાલન, સિંચાઈ અને વીજળી ઉત્પાદન સહિતની
જરૂરિયાતો પૂરી કરવાને લઈને તે આ કરારમાં કેટલીક નવી શરતો લાગુ કરવા માગે છે. હાલના
કરાર મુજબ 11 માર્ચથી 11 મે દરમ્યાન ગરમી અને દુષ્કાળની
મોસમમાં બંને દેશને 10-10 દિવસ માટે
3પ,000 ક્યુસેક પાણી ઉપ્લબ્ધ કરવામાં
આવે છે. ભારત હવે વધારાના 30,000થી 3પ,000 ક્યુસેક પાણીની માંગ કરી રહ્યું
છે. અહેવાલ મુજબ જૂની સંધિમાં પરસ્પર સહમતીથી સંશોધન કરવાની વાત હતી, પણ હવે ભારત પોતાની શરતો મુજબ તેમાં ફેરફાર
કરવા માગે છે. ઉલ્લેખનીય છે કે, હસીનાને પદભ્રષ્ટ કર્યા બાદ બાંગલાદેશનું
વલણ ભારત પ્રત્યે અગાઉની જેમ મિત્રતાપૂર્ણ રહ્યું નથી. બંને દેશ વચ્ચેના સંબંધોમાં
તણાવ આવ્યો છે, ત્યારે ભારત પણ હવે ગંગા નદીના કરારમાં ફેરફાર
કરવાની તૈયારીમાં છે.