• શનિવાર, 28 જૂન, 2025

ભવાઇ નાટક પરંપરા હવે લુપ્ત થવાના આરે

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 27 : સવારના ભાગમાં ઢોલ ધ્રિબાંગ... ધ્રિબાંગ વાગે આજે આપણા ગામે ભવાયા આવ્યા છે. વથાણચોકમાં નાટક ભજવાશે... આવા શબ્દો નખત્રાણા તાલુકાનાં ગામોમાં આજે પણ સાંભળવા મળે છે. વર્ષો જૂની પરંપરા મુજબ ભાવૈયા કચ્છના કડવા પાટીદાર સમાજનાં ગામોમાં સંસ્કૃતિના દીવા પ્રગટાવે છે. આ વખતનો કાર્યક્રમ પણ એ જ વારસાની જાળવણીનો હતો. રાત્રિના ભાગે ભવાઈના આરંભ સાથે રંગમંચ પર સાંસ્કૃતિક કલાનાં એવાં અનોખાં દર્શન સાથે સમગ્ર ગ્રામજનો ભવાઈમાં રજૂ થયેલા પાત્રોનું જીવંત અભિનય, તેમના રમૂજી સંવાદો, લોકસંગીતના મધુર સૂર-સંગીતનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ગામના વૃદ્ધો માટે આ ભવાઈ એક જૂની યાદગાર બની રહી તો યુવાનો માટે ભારતીય સંસ્કૃતિને જીવંત જોઈ લેવા જેવું રહેલું. ભવાઈ માત્ર મનોરંજનનું સાધન નહોતું, પણ ગ્રામજનો માટે સમાજનાં સ્તરે વિચાર કરાવતું માધ્યમ પણ હતું. આ ભવાઈનો હેતુ માત્ર મજાક અને મનોરંજન નહીં, પરંતુ આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો પ્રયાસ છે. ગામડાંઓમાં આવા  કાર્યક્રમો જોવા મળી રહ્યા છે, ત્યારે આ બાબતે રમેશભાઈ ભવાયા (મારાજે) જણાવ્યું હતું કે, અમારા વડવાઓ સાતસો વર્ષ ઉપરથી આવાં નાટકો રજૂ કરી લોકોને મનોરંજન પૂરું પાડતા આવ્યા છે અને હાલ પણ ચાલુ છે. સાતસો વર્ષ ઉપરથી અમે આ ભવાઈ (નાટક) કરતા આવ્યા છીએ, જે જેઠ મહિનામાં અમે અમારા વતન કુણધેર (પાટણ)થી નીકળી કચ્છ આવીએ છીએ, જે છેક શ્રાવણ વદ ત્રીજ પછી પાછા અમારા વતન જવા નીકળીએ છીએ. અમે અઢી માસ કચ્છમાં રહીએ છીએ અને ભવાઈ ભજવીએ છીએ. કચ્છમાં જ્યાં પાટીદાર સમાજના લોકો રહે છે ત્યાં અમે ભવાઈ (નાટક) ભજવીએ છીએ. ગુણાતીતપુર, ખેડોઈથી કરીને ઘડુલી, ધારેશી, દુર્ગાપુર-નવાવાસ, વિરાણી, આણંદપર એમ કચ્છમાં આવેલ કડવા પાટીદાર પટેલ સમાજના લોકો રહે છે, ત્યાં અમે જઈને નાટક ભજવી મનોરંજન પૂરું પાડીએ છીએ. આ ભાવૈયાની મંડળી પોતાનાં વતનથી આવીને પહેલાં નાટકની શરૂઆત આણંદપર ગામથી કરે છે. વર્ષો પહેલાં ભવાયાના દશ પેડા (નાટક મંડળી)ઓ હતી. હાલ ઘટીને ત્રણ પેડા (નાટક મંડળી)ઓ રહી છે. પહેલાં નારણ મારાજ, કાલીદાસ મારાજ, હરગોવિંદ મારાજ, જીવાબાપા, લાલજી મારાજ, મોરાર મારાજ, મગા મારાજ તેમજ મણિરામ મારાજનાિં નામે ઓળખાતા હતા. આ એક પેડામાં 20થી-25 ભવાયા (મારાજ) આવતા હતા. રાત્રિના સમયે ગામના ચોકમાં નાટક ભજવતા હોઇએ છીએ. પેડામાં 20થી 25ના બદલે દશથી બાર લોકો જ આવે છે. આ ભવાયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રમેશભાઈ ભવાયાએ જણાવતાં કહ્યું હતું કે, આવતા વર્ષોમાં આ ભવાઈ (નાટક) બંધ થઈ જશે. આવનારી પેઢીને આવા નાટક કરવામાં રસ નથી, સાથે અમારા પાછળની પેઢી ભણીગણીને આગળ વધી હોવાથી નોકરીઓ કરવા લાગી ગઇ છે. અમે અમારો વારસો સાચવી ભવાઈ (નાટક) કરી રહ્યા છીએ અને લોકફાળો ઉઘરાવીએ છીએ.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd