• શનિવાર, 28 જૂન, 2025

અમદાવાદમાં રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : આજે આષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે સંપન્ન થઇ હતી. જય રણછોડ, માખણચોરના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા. અમદાવાદમાં આ રથયાત્રા જમાલપુરના ઐતિહાસિક 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી અમીછાંટણાં વચ્ચે શરૂ થઇ હતી, જે સમી સાંજે ત્રણેય રથ સાથે નિજ મંદિર પરત ફરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે પાહિંદવિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું.  રથયાત્રાને લઇને આજે સવારના ચાર વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી હતી. વહેલી પરોઢે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી રથયાત્રાના દિવસનો પ્રારંભ કર્યો હતો અને ભગવાનને ખીચડી અર્પણ કરવામાં આવી હતી. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ છવાયું હતું. અમદાવાદના પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું ઝીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અમદાવાદમાં જગન્નાથ ભગવાને આભૂષણ  અને સોનાંનો મુગટ ધારણ કર્યા હતા, ત્યારે દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટયું હતું. જો કે, ખાડિયા નજીક ડી.જે.નાં કારણે ત્રણ ગજરાજ બેકાબૂ થયા હતા અને લોકોમાં નાસભાગ મચી ગઇ હતી, જેના કારણે બેથી ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. ગણતરીની મિનિટોમાં મહાવત અને સુરક્ષા કર્મચારીઓએ ગજરાજોને કાબૂમાં લીધા હતા. પોલીસની સમયસૂચકતાનાં કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. મહત્ત્વનું છે કે, દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ આષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. ત્યારબાદ સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાંની સાવરણીથી સફાઈ કરી પાહિંદવિધિ સંપન્ન કરી હતી. સાથેસાથે ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક  બહાર લાવવામાં સહભાગી થયા હતા. આ વિધિમાં ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર પ્રતિભાબેન જૈન પણ ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનાં પર્વની સૌ નાગરિકોને  શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આષાઢી બીજના પાવન અવસરે ભગવાનનાં દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદ્ભાગ્ય ગણાવ્યું હતું. ભૂપેન્દ્રભાઇએ રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ભગવાન જગન્નાથજી દરિદ્રનારાયણ છે અને શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથજી સૌને ખૂબ શક્તિ આપે, તેવી પ્રાર્થના પણ ભગવાન સમક્ષ કરી છે, તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આષાઢી બીજ નિમિત્તે દેશ-વિદેશમાં વસતા સર્વે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. - ઐતિહાસિક ક્ષણ : અમદાવાદની આ ભવ્ય જગન્નાથ રથયાત્રા દરમિયાન એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. જગન્નાથ મંદિર, જમાલપુરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા જગતપતિ જગદ્ગુરુની પવિત્ર પદવી આપવામાં આવી હતી. આ અવસરે દેશભરના સાધુ-સંતોની હાજરીમાં આ પદવી આપવામાં આવી હતી. આ સન્માન સાથે મહંત હવે જગદ્ગુરુ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે. આ પદ કોઈ સામાન્ય વ્યક્તિને આપવામાં આવતું નથી. તેની પાછળ કડક ધર્મિક માપદંડો લાગુ થાય છે. આ પદવી માટે અખાડાઓના પ્રમુખો, આચાર્ય મહામંડલેશ્વરો, પ્રતિષ્ઠિત સંતો અને કાશી વિદ્વત પરિષદની સંમતિ આવશ્યક હોય છે. તમામ ધોરણો પૂરા થયા પછી જ શંકરાચાર્યની પદવી એનાયત થાય છે. દરમિયાન ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર અજાણ્યું ડ્રોન ફરતું જોવા મળ્યું હતું. પરવાનગી વિના ઊડતા આ ડ્રોનને અમદાવાદ પોલીસે હવામાં એન્ટિ ડ્રોન કિલર ગનથી તોડી પાડયું હતું. આ એન્ટિ ડ્રોન કિલર ગનની રેન્જ બે કિલોમીટર છે. અમદાવાદ પોલીસે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક વ્યવસ્થા કરી હતી. રથયાત્રાની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે ટેક્નોલોજીનો સહારો લીધો હતો. આ વખતે ભીડ ક્યાં વધુ છે તે જાણવા માટે અઈં કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રથયાત્રા સુચારુ રીતે ચાલે તે માટે 23 હજાર પોલીસકર્મીએ જમીન પર મોરચો સંભાળ્યો હતો. રથયાત્રાના દિવસે હિન્દુ- મુસ્લિમ એકતા જોવા મળી મળી હતી. જ્યાં મુસ્લિમ સમુદાયના લોકો ફૂલ અને હાર સાથે ભગવાન જગન્નાથનું સ્વાગત કરતા જોવા મળ્યા. આ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક લોકોની આંખે વળગીને આવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd