નવી દિલ્હી, તા. 20 : ઓપરેશન સિંદૂર
દરમ્યાન ચાર દિવસના સૈન્ય ઘર્ષણમાં ભારત સામે પરાજયનો શરમજનક સામનો કર્યા પછી પણ પાકિસ્તાનની
સરકારે ત્યાંના સેનાધ્યક્ષ જનરલ અસીમ મુનીરને બઢતી આપીને ફિલ્ડ માર્શલ બનાવી દીધા છે
! શહબાઝ શરીફ સરકારે આજે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે. પાકિસ્તાનમાં ફિલ્ડ માર્શલના
સશત્ર દળોના સર્વોચ્ચ પદ પર જનરલ મુનીરની આ પ્રમોશન એવા સમયે થઇ છે જ્યારે પાકિસ્તાન
આતંકવાદીઓને આશ્રય આપવાના મુદ્દે ભારતની કાર્યવાહી સામે નોધારું થઈ ગયું છે. ફિલ્ડ
માર્શલ અયૂબ ખાન બાદ મુનીર હવે પાંચ સ્ટાર રેન્ક મેળવનાર બીજા પાકિસ્તાની સૈન્ય અધિકારી બન્યા છે. અયુબ ખાન 1959-1967 દરમિયાન આ પદ પર હતા. પાક સરકારે પાક સરકારે વાયુસેનાના વડા
ઝહીદ અહેમદ બાબર સિદ્ધુનો પણ કાર્યકાળ લંબાવ્યો છે. નિષ્ફળતા છતાં પણ અસીમ મુનીરને
શહબાઝ શરીફ સરકારે બઢતી આપી છે જેથી તે આખી દુનિયા સમક્ષ દાવો કરી શકે ભારત સાથેના
ટૂંકા ગાળાના લશ્કરી સંઘર્ષમાં પાકિસ્તાનની જીત થઈ છે અને જનરલ મુનીરને એ જ પુરસ્કાર
આપવામાં આવ્યો છે. જો કે, સત્ય એ છે
કે, જ્યારે ભારતે પાકિસ્તાન અને પીઓકેની અંદર આતંકવાદી ઠેકાણાઓને
નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારે પાકિસ્તાની સેનાધ્યક્ષને તેની ખબર
પણ ન પડી અને ચાર જ દિવસમાં પાકિસ્તાન ભારતીય સેના સામે ઘૂંટણિયે પડી ગયું હતું.