નવી દિલ્હી, તા. 24 : સંસદ સત્ર શરૂ થવાના અડધા કલાક પહેલાં દેશને સંબોધતાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંદેશ આપ્યો હતો કે, સંસદ સૂત્રો અને નાટકબાજીથી
નહીં ચાલે, કટોકટીના કાળનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે, કટોકટીનાં 50 વર્ષ પૂરાં
થઇ રહ્યાં છે. 25 જૂન કદી ન ભૂલાય તેવો દિવસ છે. એ જ દિવસે દેશને જેલ બનાવી દેવાયો
હતો. ભારતનાં લોકતંત્ર અને લોકતાંત્રિક પરંપરાઓની રક્ષા કરતાં દેશવાસીઓ સંકલ્પ લે કે,
ફરી કોઇ એવી હિંમત નહીં કરે જે 50 વર્ષ પહેલાં કરાઇ હતી, તેવું વડાપ્રધાને જણાવ્યું
હતું. મોદીએ 14 મિનિટ, 28 સેકન્ડના ભાષણમાં કટોકટી ઉપરાંત નવું સંસદ ભવન, નવા સાંસદો,
જવાબદાર વિપક્ષ, ત્રીજો કાર્યકાળ, વિકસિત ભારત જેવા મુદ્દે વાતો કરી હતી. સાંસદો પાસેથી
દેશને ઘણી આશાઓ છે. મારો સાંસદોને અનુરોધ છે કે, જનહિત અને લોકસેવા માટે તેમને મળેલા
મોકાનો ઉપયોગ કરે તેવું તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશને જવાબદાર
વિપક્ષની જરૂર છે. જનતા નારા નહીં, સાર્થક કામો ઇચ્છે છે. સંસદમાં ધમાલ નહીં, ચર્ચા
ઇચ્છે છે. મોદીએ કહ્યું હતું કે, સરકાર ચલાવવા માટે બહુમતીની જરૂર હોય છે, પરંતુ દેશ
ચલાવવા માટે સહમતીની જરૂર હોય છે. અમારો પ્રયાસ સૌની સહમતી સાથે અને સૌને સાથે રાખીને
ચલાવવાનો રહેશે. વિપક્ષ 18મી લોકસભા સામાન્ય નાગરિકોની આશા પર ખરો ઊતરે તેવી અપેક્ષા
છે.