રોહા (સુમરી) (તા. નખત્રાણા) તા. 25 : આ ગામે મોરની વસાહત નજીક વીજ થાંભલા
તોડી જિલ્લા કલેક્ટરના અગાઉના જાહેરનામાનો અનાદર કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ ગામલોકો
કરી રહ્યા છે. આ ગામમાં પવનચક્કીઓના કારણે વીજલાઈનોમાં અગાઉ અનેક રાષ્ટ્રીય પક્ષી મોરનાં
મૃત્યુ થઈ ચૂક્યાં છે. જેના કારણે તત્કાલીન જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા જાહેરનામું
બહાર પાડી ગામની બે કિ.મી.ની ત્રિજ્યામાં કોઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, ખેતી માટેના વીજ જોડાણો માટે વિવિધ ખાતાઓની બાંહેધરી લીધા બાદ મંજૂરી મેળવવા જણાવાયું હતું.
પરંતુ મનાઈ હુકમ હોવા છતાં રોહા કિલ્લા નજીક આવેલી ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટ લગાવવામાં
આવી રહ્યો છે અને તેના પોલ નાખવામાં આવ્યા છે. ગામમાં કોઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે
તલાટી, વનવિભાગ, પ્રાંત કચેરી, મામલતદાર વગેરેની મંજૂરી ફરિજયાત છે, તો હાલ થઈ રહેલા
કામોની મંજૂરી લેવાઈ છે કે કેમ તે તપાસનો વિષય છે, તો આ સોલાર
પ્લાન્ટમાંથી નીકળતી વીજલાઈનોના કારણે મોર તેમજ અન્ય પશુ-પક્ષીઓને હાનિ પહોંચશે,
તો તેની જવાબદારી કોની તેવો પ્રશ્ન ગામલોકો તથા જાગૃત નાગરિકો ઉઠાવી
રહ્યા છે.