કોલંબો, તા. 25 : ભારતની શ્રીલંકા સામેની બીજી
ટેસ્ટના ત્રીજા દિવસે 14 ઓવરની સખત
મહેનતવાળી સ્પેલમાં ત્રણ વિકેટ લઇને ભારતીય બોલરોની આગેવાની કરતા પ્રસિદ્ધ કૃષ્ણાના
કોચ મોર્ની મોર્કલે વખાણ કર્યા હતા. મોર્કલે કહ્યું હતું કે, પ્રસિદ્ધે તેની રમત બાબતે થઇ રહેલા વિશ્લેષણ
ઉપર ધ્યાન આપવાના બદલે પોતાની રમતમાં એકાગ્રતા બતાવી હતી. હવે તે વૈશ્વિક બોલરના રૂપમાં
ઊભરી રહ્યો છે. મોર્કલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, પ્રસિદ્ધની
રમતથી તેનું કેરેક્ટર સામે આવ્યું છે. બોલરો ઉપર મીડિયા અને કોમેન્ટેટરોની સતત નજર
રહે છે, પરંતુ એ બધાને નજરઅંદાજ કરીને કૃષ્ણાએ ક્રિકેટમાં જ ધ્યાન
કેન્દ્રીત કર્યું હતું. તેના વિશે થઇ રહેલી ટિપ્પણીઓ અને દબાણને તાબે થયો નહોતો. આ
રીતે તેની રમતમાં બદલાવ જોવા મળ્યો હતો. ભારતીય ટીમમાં ખેલાડીઓ પર કરોડો પ્રશંસકોને
ધ્યાનમાં રાખીને રમવાનું દબાણ હોય છે. દરેક બોલ, ગતિવિધિ અને
દેખાવ ઉપર બધા આલોચના કરતા હોય છે. આ વેળાએ ક્રિકેટર તેની સામે ઝઝૂમવા કોશિશ કરે છે.
જોકે, પ્રસિદ્ધે આવા માનસિક દબાણને હાવી થવા દીધો નહોતો અને રમત
પર લક્ષ આપ્યું હતું. મોર્કલે કહ્યું હતું કે, ભારતીય ટીમને હંમેશાં
તેના પર ભરોસો છે.