ભુજ, તા. 27 : ભવાનીપર પુલ પરથી ભારે વાહનોની
અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં એસ.ટી.ની બસો
જાહેરનામાંનો ભંગ કરી અવરજવર કરી રહી છે ત્યારે એસ.ટી. તંત્રના જવાબદારો સામે જાહેરનામાં
ભંગની શા માટે કાર્યવાહી કરાતી નથી તેવો વેધક સવાલ બિટ્ટાના અરજદાર લહેરી લધારામ ગરવા
દ્વારા ઉઠાવાયો છે. આ મુદ્દે અરજદારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હોવા છતાં
યોગ્ય દાદ મળતી નથી, ત્યારે આગામી
સમયમાં આ પ્રશ્ન રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં લઇ જવાની વાત કરી છે. એસ.ટી. બસ મોટરવ્હીકલ
એક્ટની જોગવાઇમાં ભારે વાહનની વ્યાખ્યામાં આવે છે. ત્યારે નલિયા એસ.ટી. ડેપો ઉપરાંત
માર્ગ-મકાન (રાજ્ય) પેટા વિભાગના જવાબદારો સામે કાર્યવાહી જરૂરી બની છે. જાહેરનામાં
બાદ કોઇ નક્કર કાર્યવાહી ન થતાં ડાયવર્ઝનના નામે તેરા-બિટ્ટા રૂટના પ્રવાસીઓ પર ભાડાં
વધારાનો બોજ નાખી દેવાયો છે. તેરા-બિટ્ટા રૂટના પ્રવાસીઓને ભાડાં વધારાની સાથે સમયના
વેડફાટનો પણ સામનો કરવો પડી રહ્યો છે.