દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 23 : એક સમયે કચ્છમાં ભાજપ માટે
પડકાર ગણાતા વિસ્તારોમાંનો એક એવો દરિયાકાંઠાના કંઠીપટ્ટ તરીકે ઓળખાતો મુંદરા તાલુકો
`કેસરિયા'
પક્ષની `નીતિ' અને `માઈક્રો' ઓપરેશનથી,
છેલ્લા એક દાયકાથી કેસરિયા ગઢમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે. છેલ્લે છેક
2011ની તાલુકા પંચાયત ચૂંટણીમાં
કોંગ્રેસનું શાસન આવ્યું, પણ આ `ગઢ'ના મજબૂત મનાતા `કાંગરા' ખેરવવા માટે આ વખતે જરૂર કોંગ્રેસે ગંભીરતાથી
પ્રયાસ કરેલો દેખાય છે. જો કે, `કમળ'નાં વિકાસકામોની
લાંબી યાદી સાથે લક્ઝરી ગાડીઓના અને મોટી સંખ્યાના કાર્યકરોના કાફલા સાથેના `ઘરોઘર'
પ્રચાર અને દરેક સમાજ સાથેની બેઠકોના દોર વચ્ચે `પંજા'
પાસે `િવકાસના નામે
ભ્રષ્ટાચાર' અને લોકો - ખેડૂતોની નારાજગીથી
પરિવર્તનની લહેરનો દાવો છે, પણ છેલ્લી ઘડીએ દાવ પલટી શકે એવા
કમળ સામે એ દાવો કેટલો ટકી શકશે એ સવાલ છે. - દ્વિપક્ષીય જંગ; આપ-બસપ આંશિક : રાજકારણ અને જમીનનો ધંધો સાથે હોય એવા અનેક
નેતાઓને સમાવતા મુંદરા તાલુકામાં તાલુકા પંચાયતની 18 બેઠક માટે 46, જ્યારે જિલ્લા પંચાયતની ચાર બેઠક માટે 10 ઉમેદવાર મેદાનમાં છે. તાલુકા
પંચાયતની મોટા કપાયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચી લીધું
એ સિવાય તા. પંચાયતમાં મહદ્અંશે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ ટકરાવ છે. આઠ બેઠક એવી છે જેમાં
કમળ અને હાથ સિવાય કોઈ ઉમેદવાર નથી. આઠ બેઠક એવી છે જેમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપ, બસપ કે અપક્ષનું ત્રીજું પરિબળ છે, જ્યારે સાડાઉ બેઠકમાં સૌથી વધુ ચાર ઉમેદવાર છે. મોટેભાગે ક્ષત્રિય,
ગઢવી, લઘુમતી અનુ. જાતિ, આહીર, રબારી સમાજના અલગ-અલગ બેઠક પર પ્રભુત્વવાળા આ વિસ્તારમાં
ટૂંકો પ્રચાર સમયગાળો હોવાથી તુરત કાર્યાલયો તો ખૂલી ગયા હતા, પણ ભારે ગરમી વચ્ચે ઢોલ-નગારા અને જાહેર સભા સાથેનો પ્રચાર ઓછો છે અને સવાર
અને સાંજે સમાજવાડીઓમાં બેઠકો અને ડોર ટુ ડોર પ્રચાર વધુ દેખાયો હતો. રાજકીય ચર્ચામાં
અત્યારે કસોકસ મનાતી તાલુકા પંચાયતની ભુજપુર, ઝરપરા, સાડાઉ,
ભદ્રેશ્વર, છસરા, લુણી પર
નજર છે, જ્યારે જિલ્લા પંચાયતની સમાઘોઘા અને ઝરપરાનો જંગ રસાકસી
દેખાડે છે. - સીમાંકન બદલાવ; ક્યાંક તક ન મળ્યાની નિરાશા : મુંદરા તા. પં.ની કુલ 18માંથી 14 બેઠક અલગ-અલગ
રીતે અનામત છે. ફક્ત ચાર બેઠક નાના કપાયા-1, નાના કપાયા - 2, સમાઘોઘા તેમજ છસરા સીટ સામાન્ય છે, જ્યારે જિલ્લા પંચાયતની આ તાલુકા હેઠળ આવતી
ચારમાંથી ત્રણ બેઠક અનામત છે. ભુજપુર સામાન્ય મહિલા અનામત રહી. એક જ બેઠક સમાઘોઘા સામાન્ય
છે. અહીં દાવેદારો ઘણા, પણ ટિકિટ એકને આપવાની હતી. જો કે,
દાવેદારો પણ પ્રચારમાં જોડાઈ ગયેલા દેખાય છે. મોટી ભુજપુર જિલ્લા પંચાયત હેઠળ તાલુકા પંચાયતની
ચાર બેઠકોનો સમાવેશ થાય છે. પૂરી થયેલી ટર્મમાં આ પાંચેય બેઠક ભાજપ પાસે હતી. તાલુકા
પંચાયતની મોટી ભુજપુર એક, મોટી ભુજપુર બે, દેશલપર કંઠી (મહિલા), મોટા કાંડાગરા એમ તમામ અનામત છે.
એકેય સામાન્ય બિનઅનામત ન હોવાથી તેમાં સમાવિષ્ટ જાતિના બંને પક્ષના કાર્યકરોને વખતે
ચૂંટણી ન લડી શક્યાનો અહીં વસવસો દેખાય છે. આમ, આ વિસ્તારમાં
સામાન્યમાં આવતી જ્ઞાતિના આગેવાનો - કાર્યકરોમાં કયાંક નિરાશા પણ છે. - તા. પં. પૂર્વ પ્રમુખો મેદાને
જંગમાં : મુંદરા તાલુકા પંચાયતના 2015થી 2018ના સમયમાં પૂર્વ પ્રમુખ રહી
ચૂકેલા રણજિતાસિંહ અગરસંગ જાડેજા સમાઘોઘા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ વતી નસીબ અજમાવી
રહ્યા છે, જ્યારે 2018થી 2020 દરમ્યાનના સમયગાળામાં તાલુકા
પંચાયત પ્રમુખ રહી ચૂકેલા દશરથબા નટુભા ચૌહાણ મોટી ભુજપુર સીટ પરથી ભાજપ વતી લડે છે.
- `ચા'ની હોટેલોમાં ચર્ચા, મતદાર
રાજા માટે દોટ, પણ `રાજા' મૌન
: ઉમેદવારો
મતદાતાઓને રિઝવવા માટે તનતોડ મહેનત કરતા દેખાય છે. ભરઉનાળે ગ્રીષ્મ ઋતુની ચામડી બાળી નાખતી ગરમી વચ્ચેય મતદારો માટે
દોટ છે. મોટેભાગે સાંજે લોકસંપર્કનો ડોર ટુ ડોર પ્રચાર માટે ગાડીઓના કાફલા જોવા મળી
રહ્યા છે. પક્ષના આગેવાનો, ગામના સરપંચો,
સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચાઓનો દોર જારી છે. તાલુકાનાં ગામડાંઓમાં `ચોરે અને ચૌટે' અત્યારે ચાની હોટેલ ઉપર `ચા'ની ચૂસકીની સાથેસાથે કે ભારે તડકા વચ્ચે વૃક્ષના છાંયડામાં ઓટલે અત્યારે આઈપીએલ
કરતાં કોણ જીતશેની વાતો વધુ છે. રાજકારણની ચર્ચા છે, પણ જ્યારે
મતદારોને `કઈ બાજુ ઝોક'ની વાત કરીએ, તો `મન કી બાત' પત્રકારોને નથી કહેતા. મતદારો ચાલાક છે,
હવે 28મીના મતપેટી
ખૂલશે ત્યારે જ ખબર પડશે અનુમાનો કેટલા સાચા છે. - ગ્રીષ્મની ગરમીથી ચૂંટણીની ગરમીનો પારો ઊંચો : શેરડી ધંધાર્થીઓને
બખ્ખા : હાઇવે પર હરતી-ફરતી ગાડીઓ દ્વારા શેરડીના
રસ વેચતા ધંધાર્થીઓનો પણ જાણે ધંધો ખૂલી ગયો છે. મતદાનને દિવસ ઓછા છે અને સમય બગાડવો
પોસાય એમ નથી, ત્યારે ભરઉનાળે ભારે ગરમી
વચ્ચે પણ રાજકારણીઓની તાલુકામાં એક ગામથી બીજે ગામ ફરતી ગાડીના કાફલાઓ ભરબપોરે શેરડીનો
રસ પીને ગ્રીષ્મની ગરમી અને ચૂંટણીની ગરમીથી થોડીક રાહત મેળવી લેતા દેખાય છે. ભદ્રેશ્વર
પાસે રસ્તામાં મળી ગયેલા થોડા કાર્યકરો કહે છે કે, શેરડીના બે-ત્રણ
ગ્લાસો પીને ગરમીને ભગાવી રહ્યા છે. ગરમી હોય તો શું થયું દિવસે તેમજ રાત્રે પણ પ્રચાર ચાલુ છે. - કોઈ નિરાશા નથી; એકતરફી જીતથી કેસરિયો લહેરાશે : મુંદરા ભાજપ પ્રભારી : મુંદરામાં તમામ કાર્યકર્તાઓ ઉત્સાહભેર કામ
કરે છે, કોઈ ફરિયાદ નથી આવી. 18માંથી 14 બેઠકમાં તો એકતરફી જીત દેખાય છે. બાકીમાં પણ આગામી દિવસોમાં
લોકો `કમળ'
માટે મન બનાવી લેવાના છે, એમ કહે છે જિલ્લા ભાજપ
ઉપપ્રમુખ અને મુંદરાના પ્રભારી મૂળજીભાઈ આહીર. `મુંદરા તાલુકા અને જિલ્લા પંચાયતમાં ટિકિટ
ન મળવાથી નિરાશા કે નિક્રિયતા'નો મુદ્દો
ઉઠાવતાં તેમણે કહ્યું કે, હશે ક્યાંક, પણ
હવે કંઈ અસંતોષ નથી. બૂથ, તાલુકા બેઠક પ્રમાણે જવાબદારીઓ સોંપાયેલી
છે અને તમામ કામે લાગેલા છે. કોંગ્રેસના જીતના દાવા સામે તેમણે કહ્યું કે, `એ તો એમને કહેવું પડે. બાકી એ લોકો પાસે નેતાઓ છે, કાર્યકરો ક્યાં છે ? અરે,
ઉમેદવારોયે એમને નહોતા મળતા. અમારી પાસે તો નેતા નહીં, કાર્યકરોનો કાફલો વધુ છે.' મુંદરા તાલુકા ભાજપ ચૂંટણી
ઇન્ચાર્જ બટુકસિંહ જટુભા સોઢાને પૂછતાં તેમણે કહ્યું કે, વિકાસકામોના
બળે તાલુકા પંચાયત કચેરીએ ફરી કમળ લહેરાશે એ નિશ્ચિત જ છે. મુંદરા વિસ્તારના પૂર્વ
ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ પણ પ્રચાર દરમિયાન માહોલની વાત કરી કે, અઢી દાયકાનું રાજ્યમાં ભાજપનું શાસન, નીતિ, શાંતિ, સમૃદ્ધિ
લોકોએ જોઈ છે અને સામે માત્ર ચૂંટણીમાં જ દેખાતો કોંગ્રેસ પક્ષ છે. ભાજપની જીત સ્પષ્ટ
દેખાય જ છે. - નારાજ લોકો
પરિવર્તન ઈચ્છે છે : સિનિ. કોંગ્રેસ નેતાઓનો જીતનો વિશ્વાસ : મુંદરામાં કેસરિયાએ હળવાશથી લેવા જેવું
નથી. પ્રચાર મેદાનમાં રહેલા કોંગ્રેસના સિનિયર નેતાઓ જીતનો વિશ્વાસ વ્યક્ત કરે છે.
પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને મુંદરા તાલુકા કોંગ્રેસના પ્રભારી તરીકે જવાબદારી
સંભાળી રહેલા યજુવેન્દ્રાસિંહ જાડેજા કહે છે કે,
છેલ્લા પાંચ વર્ષના શાસનમાં ભાજપ લોકોની અપેક્ષા પર ખરો ઊતર્યો નથી.
વાવાઝોડાં - કમોસમી વરસાદ વખતે ભારે નુકસાન છતાં ખેડૂતો સહાયથી વંચિત છે. ઔદ્યોગિક
ક્ષેત્ર મુંદરાની કંપનીઓમાં કેન્દ્ર - રાજ્ય રહેલી ભાજપની સરકારે સ્થાનિક રોજગારીના
નિયમો પાળવાનો અમલ કરવામાં કોઈ તસ્દી રાખી નથી. અમે તાલુકામાં માઇક્રો પ્લાનિંગ કર્યું
છે. મુંદરાના પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને તાજેતરમાં ભાજપથી છેડો ફાડી સ્વગૃહ
પરત ફરેલા વરિષ્ઠ સામાજિક આગેવાન કિશોરભાઈ પિંગોલનું કહેવું છે કે, કરોડોના વિકાસની માત્ર વાતો જ છે. જો સુખાકારી વધી હોય તો લોકોને ભેગા કરવા
હથકંડા શા માટે કરવા પડે છે ?, ખેડૂતો પર દમનગીરી જ કરાઈ છે.
અન્યાય અને ખોટું સહન ન થઈ શકે એટલે ભાજપ છોડી દીધું છે. લોકોના પ્રશ્નો ઉકેલવા છે
અને જો કામ ન થાય તો શું કામનું ? કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી
અને ભદ્રેશ્વર બેઠકના પ્રભારી ભૂપેન્દ્રાસિંહ જાડેજા આ વખતની ચૂંટણીના માહોલને અલગ
જ ગણાવતાં ઉમેરે છે કે, મુંદરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આવે
છે અને જિલ્લા પંચાયત બેઠકોમાં પણ કોંગ્રેસનો `હાથ'
ઉપર રહેશે. કારણ કે, સત્તા પક્ષ જીત્યા પછી દેખાયો
જ નથી અને મનમાની જ કરી છે. ખેડૂતો - માછીમારોની વધતી મુશ્કેલીઓ, શ્રમિકોને નોકરીમાંથી કાઢી મૂકવા જેવા સમયે પણ કંપનીઓની તરફેણથી લોકો નારાજ
છે. - વહીવટી તંત્ર સજ્જ; 92 મત
મથક : જિ. પં.ની ચાર બેઠક અને તા. પંચાયતની 18 બેઠક માટે નવ ઝોનલ અધિકારી, 92 પ્રિસાઈડિંગ
ઓફિસરો તૈનાત રહેશે. હાલમાં ઇવીએમ મશીનોને મતદાન મથકો માટે તૈયાર કરવામાં આવી રહ્યાં
છે, જ્યારે શહેર નગરપાલિકાની ચૂંટણી માટે ત્રણ ઝોનલ
અધિકારી અને 22 બૂથમાં 22 અધિકારી સાથે કર્મચારીઓ ફરજ
નિભાવશે. સમગ્ર કાર્યવાહી નાયબ કલેકટર અને નગરપાલિકા ચૂંટણી અધિકારી ભગીરથાસિંહ ઝાલા, ગાંધીધામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મેહુલ
દેસાઈ અને મુંદરા મામલતદાર કલ્પનાબેન ગોંદિયાનાં માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી
રહી છે. (સહયોગ
: કિરીટ સોની, માણેક ગઢવી,
ભુવનેશ જોષી, વિનોદ મહેતા, નરેન્દ્ર સોની) - `વિકાસની રાજનીતિનો નવો આયામ ભાજપને જીતાડશે જ : અનિરુદ્ધ દવે
: `વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ
વિકાસની રાજનીતિનો અલગ આયામ ઊભો કર્યો છે અને લોકો વારંવાર મત આપે છે અને ભવિષ્યમાં
પણ આપતા રહેવાના છે. મુંદરા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવે છે,
એમાં કોઈ મીનમેખ નથી' એમ કહે છે અનિરુદ્ધભાઈ દવે.
મુંદરા તાલુકા વિસ્તારને સમાવતા, માંડવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય
અને ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી દવેને `લોકો તમને ફરી મત આપશે એવો વિશ્વાસ શા માટે છે ?' એવા-એવા પ્રશ્નના જવાબમાં તેમણે વધુમાં કહ્યું
કે, ભાજપે વિકાસકામો કર્યાં છે. મુંદરામાં જળસંચયનાં કામો,
ગ્રામ્ય રસ્તાઓ, ખાસ કરીને ભુજ-મુંદરા રોડ નવો
બની ગયો છે. - ભાજપની અંત્યોદયની નીતિ અને સમાજવાડી, રોડ, પાણી, સહિતનાં કામ બોલે છે; તાલુકાભરમાં કમળ ખીલશે : `મુંદરા તાલુકામાં ગામેગામ થયેલા
સમાજવાડી, રોડ નિર્માણ, પાણી, ગટર અને
આવાસ યોજના જેવાં પાયાનાં વિકાસકામો સાથે ભાજપની અંત્યોદય અને સકારાત્મક નીતિ જેવાં
કારણોથી મુંદરા તાલુકામાં તમામ 18 તાલુકા પંચાયત બેઠક અને ચાર જિલ્લા પંચાયત બેઠક ઉપર કમળ ખીલી
રહ્યું છે,'
એવો વિશ્વાસ દર્શાવે છે, મુંદરા તાલુકા
ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજા. દિવસભર વ્યસ્ત રહીને પ્રચાર કાર્યમાંથી વિસામો ખાતાં
કાર્યાલયમાં મળેલા શ્રી જાડેજાને માહોલ વિશે પૂછતાં કહ્યું કે, કરેલાં કામો થકી જીતશું. ધારાસભ્યની આગેવાનીમાં ગુજરાતમાં ભાજપ સરકારની વિવિધ
યોજનાઓનો લાભ પહોંચાડવો, નમો લક્ષ્મી - નમો સરસ્વતી યોજના,
મુંદરા નર્મદાની સિંચાઇનાં નીરનો ઉપયોગ જેવા લાભોથી લોકો ખુશ છે અને
તાલુકા પંચાયતની તમામ બેઠકો સાથે જિલ્લા પંચાયતની ચાર બેઠકો પર કેસરિયો લહેરાશે. ખેતરોમાંથી
વીજલાઈન સહિતના મુદ્દે ખેડૂતો નારાજ હોવાના વિપક્ષી દાવા પરના પ્રશ્ન પર તેમણે કહ્યું
કે, એપીએમસીમાં મગફળી
બાદ તુવેરની ખરીદી શરૂ થઈ તેનાથી ખેડૂતો કમળ તરફી જ મતદાન કરશે. ખેડૂતોની નારાજગીના
બહાને વિપક્ષ રાજનીતિ કરવાનો પ્રયાસ કરે છે. સંઘર્ષ ઊભો થયો છે ત્યારે ભાજપ પ્રજા માટે મેદાને ઊતર્યું છે. - `વિકાસકામો પારદર્શક રીતે થયાં
નથી, નારાજગીનો પડઘો મતદાનમાં
પડશે, સત્તામાં આવશું' : `ભાજપ વિકાસકામોનો દાવો કરે
છે, પણ એ કામો પારદર્શક રીતે થતા નથી. સ્વાર્થ માટે
અને પોતાના ધંધા સેટ કરવા માટે થતા હોય એવી સ્થિતિ છે અને આનાથી પ્રજા નારાજ બની છે,
જેનો પડઘો મતદાનમાં પડશે અને પરિવર્તનની લહેર સાથે મુંદરા તાલુકા પંચાયતમાં
કોંગ્રેસનું શાસન આવી રહ્યું છે,' એમ કહેવું છે, મુંદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ
સાંખરાનું. શિરાચા દાનેશ્વર વિસ્તારમાં પ્રચાર માટે જતા પહેલાં કચ્છમિત્ર સાથે કરેલી
વાતચીતમાં તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ જીત્યા બાદ પ્રજા વચ્ચે
રહેતા નથી. તાલુકામાં અનેક રસ્તાઓની જર્જરિત હાલત સહિત પાયાની સુવિધાઓની ખોટ છે. ખેડૂતોના
પવનચક્કી વીજ લાઈનના પ્રશ્નો ઊભા થાય છે, ત્યારે સ્થાનિક શાસક
નેતાઓ આંખ આડા કાન કરે છે. શાળાઓમાં શિક્ષકો
અને દવાખાનાઓમાં ડોક્ટરોની અછત છે, એથી લોકોમાં રોષ છે,
સાથે ગત વર્ષની અનેક બેઠકો અમે પાતળી સરસાઈથી ગુમાવી હતી, જે આ વખતે અમને મળી જશે અને તાલુકા પંચાયતમાં `પંજા'નું શાસન આવે છે. `ભાજપે તો છેલ્લાં પાંચ વર્ષમાં અનેક કામોનું લોકાર્પણ - ભૂમિપૂજન
કર્યાં છે,'
એવો પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું કે, એ વાસ્તવિક
કામને બદલે તાયફાઓ વધુ છે.