• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

મથલમાં અખાત્રીજે 18 યુગલ લગ્નગ્રંથિથી જોડાયા

નખત્રાણા, તા. 22 : મથલમાં પાટીદાર સેવા સંઘ અને ગૌરક્ષા કેન્દ્ર પ્રેરીત ઉમિયા માતાજી સમૂહલગ્ન આયોજન સમિતિ દ્વારા અખાત્રીજે ચોવીસી ગામોના 18મા સમૂહલગ્ન સમારોહમાં 18 નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડયા હતાં.  ગૌસેવા કેન્દ્ર પરિસરમાં સમૂહલગ્ન આયોજિત સમિતિના પ્રમુખ જીવરાજભાઈ રંગાણીની અધ્યક્ષતામાં સમારોહમાં વક્તાઓ દ્વારા સમૂહલગ્નોને સામાજિક ઉત્થાન માટે સર્વોત્તમ સોપાન ગણાવ્યું હતું. સમાજ ઉન્નતિ માટે માર્ગદર્શન પૂરું પાડયું હતું.  ભારતીય સનાતન પાટીદાર સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણીએ જણાવ્યું હતું કે, શુદ્ધ ચારિત્ર્ય અને ઉચ્ચ સંસ્કારોને વરેલા આ સમાજમાં વ્યસન અને ફેશનનું વધતું અનુકરણ સમાજને હાનિકારક છે. પરંપરાગત સમાજ સંગઠિત રહી ખોટા રીતરિવાજોને તિલાંજલિ આપી આદર્શ સમાજના ઘડતર માટે સંગઠિત બનવા આહ્વાન કર્યું હતું તથા પ્રભુતામાં પગલાં માંડતા નવદંપતિઓનું જીવન સુખ-શાંતિમય બને એવી શુભકામના વ્યક્ત કરી હતી. તમામ 18 કન્યાને 27 જેટલી ગૃહસામગ્રીની ભેટસોગાદ દાતાઓ દ્વારા આપવામાં આવી હતી. લગ્નોત્સવના વિવિધ આનુસંગિક વ્યવસ્થાના દાતાઓનું આયોજન સમિતિ દ્વારા અભિવાદન કરાયું હતું. લગ્નસમિતિના જીવરાજભાઈ રંગાણી, મણીલાલ લીંબાણી, જેઠાભાઈ જાદવાણી, હરીભાઈ નાકરાણી, રામજીભાઈ ચૌહાણ, લિજેશભાઈ સાંખલા, ખુશાલભાઈ ચૌહાણે, વસંતભાઈ સાંખલા, હરિભાઈ ચૌધરી, હંસરાજ ભાવાણી વિ. આપ્યો હતો.  સમાજના શંકરભાઈ કાનાણી, મોહનભાઈ લીંબાણી, ગાંગજીભાઈ સેંઘાણી, દયારામ પટેલ, મગનભાઈ રંગાણી, શાંતિલાલ છાભૈયાને સન્માનિત કરાયા હતા. વિવિધ સેવા સમિતિના હસમુખભાઈ પટેલ, રમેશભાઈ લીંબાણી, ખીમજી લીંબાણી, સોમજી છાભૈયા, રામજી ચૌહાણ, કાતિંભાઈ પટેલે વ્યવસ્થા સંભાળી હતી. યુ.પી., એમ.પી.માં પ્રભુતામાં પગલાં પાડનારી સાત કન્યાનું ભેટસોગાદ આપી સન્માન કરાયું હતું. સંચાલન મહામંત્રી રામજી ખેતાભાઈ પટેલે કર્યું હતું. 

Panchang

dd