રાજકોટ, તા. 5 : કચ્છના મોથાળા ગામના વતની અને
ભાનુશાલી સમાજમાંથી આવતા રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલના સ્થાપક યુરોલોજિસ્ટ ડો. જિતેન્દ્ર
અમલાણીને રાજ્યસ્તરે સન્માન પ્રાપ્ત થયું છે. આરોગ્ય ક્ષેત્રમાં તેમના યોગદાન અને ત્રણ
દાયકાથી વધુ સમયથી આપવામાં આવતી સેવા બદલ તેમને ગુજરાત હેલ્થકેર એક્સલન્સ એવોર્ડથી
સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, જે સમાજ માટે વિશેષ કાર્ય કરનારા ડોક્ટરો અને
હોસ્પિટલોને સન્માનિત કરે છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તથા સમાજિક
આગેવાન દિલીપભાઇ દેશમુખના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડો. અમલાણી છેલ્લા
30 વર્ષથી સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીઓ
માટે સેવા આપી રહ્યા છે. તેમણે 150થી વધુ મફત યુરોલોજી કેમ્પ યોજ્યા છે અને એક લાખથી વધુ દર્દીને
મફત અથવા ઓછી કિંમતમાં સારવાર આપી છે. ઉપરાંત 20,000થી વધુ જટિલ યુરોલોજિકલ સર્જરીઓ પૂર્ણ કરી છે. તેમણે કહ્યું
હતું કે, `દર્દીની પીડા
દૂર કરવી એ જ મારી સાચી સેવા છે. કચ્છ સહિત કોઇ પણ વિસ્તારનો દર્દી સારવારથી વંચિત
ન રહે એ સંકલ્પ છે.'