• શનિવાર, 28 જૂન, 2025

વિવિધ ટેબ્લોના માધ્યમથી કચ્છીયત સોળે કળાએ ઝળકી

ભુજ, તા. 27 : ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર કચ્છ આવેલા વડાપ્રધાને કચ્છી માડુઓને આષાઢી બીજની શુભકામના પાઠવવા સાથે આ પર્વની વિશિષ્ટ ઉજવણી કરવા આપેલા સૂચનને ઝીલી લઇ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સતત પાંચ વર્ષ સાંસદ કચ્છ કાર્નિવલ યોજવાની જાહેરાત કરી છે, ત્યારે આષાઢી બીજે હમીરસર કાંઠે આયોજિત કાર્નિવલમાં કચ્છીયત સોળે કળાએ ખીલી હતી. રોશનીથી ઝળાહળા થતા હમીરસરના કાંઠે ઊમટેલા માનવ મહેરામણ વચ્ચે જ્યારે 62 ફ્લોટમાં જોડાયેલ 2500 કલાકારો પોતાની કૃતિની પ્રસ્તુતિ કરવા આવતા હતા ત્યારે ઉપસ્થિત લોકોએ તેને તાળી અને હર્ષનાદ ભરી કિકિયારીથી વધાવી લઇ અનેરો રોમાંચ સર્જ્યો હતો. કચ્છની વિવિધ શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળોએ જોડાઇ સાંસદે આરંભેલી પહેલને પોતાનું પ્રચંડ સમર્થન |પૂરું પાડયું હતું. સાંસદ કચ્છ કાનિર્વલની કૃતિઓનો ખેંગારબાગ પાસે મહારાવ મદનસિંહજીની પ્રતિમા પાસેથી પ્રારંભ કરાયો હતો. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ઉમેદનગર સુધીના માર્ગે રજૂ કરવામાં આવી હતી. 2500 જેટલા કચ્છી કલાકારોએ 62 ફ્લોટના માધ્યમથી કચ્છની સાથે દેશની સંસ્કૃતિનાં કામણ પાથર્યાં હતાં. કચ્છ ઢોલી, મઠો અસાંજો કચ્છડો, પાંજા સંત ઓધવરામ, મા મઢવાળીના શરણે, કચ્છડો કામણગારો, કચ્છ ચારણી ગરબો, સ્વર્ણિમ ભારત, તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે રમતનું મહત્ત્વ, નારીશક્તિ, તલવારબાજી, કચ્છી વાદ્યોનો મહિમા, કેરેલા ફોક ડાન્સ, યોગાસન, બેકપાઇપ બેન્ડ, કચ્છી રાસ, ઓપરેશન સિંદૂર, હસ્તકલાથી હાઇટેક સુધીની યાત્રાને વણી લેવામાં આવી હતી. - સાંસદ કાર્નિવલ પાંચ વર્ષ સુધી યોજવાની જાહેરાત : વડાપ્રધાને કરેલા આહ્વાનને ઝીલી લઇ સાંસદ વિનોદ ચાવડાએ આષાઢી બીજના સાંસદ કચ્છ કાર્નિવલ સળંગ પાંચ વર્ષ સુધી યોજવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ પણ વડાપ્રધાનની પહેલ ઝીલી લેવા આયોજનને સુપેરે પાર પાડવા બદલ સાંસદને અભિનંદન પાઠવ્યા હતા. - તકનીકી વિક્ષેપે કૃતિને માણવામાં અવરોધ સર્જ્યો : સાંસદ કચ્છ કાર્નિવલના આયોજન દરમ્યાન જ્યારે જ્યારે વિવિધ ફ્લોટસ પોતાની કૃતિ લઇને પસાર થતા હતા ત્યારે વારંવાર સર્જાયેલા તકનીકી વિક્ષેપનાં કારણે ઉપસ્થિત જનમેદનીને આ કૃતિ માણવામાં તો કલાકારોને આ કૃતિ રજૂ કરવામાં અવરોધનો સામનો કરવો પડયો હતો. જર્જરિત કૃષ્ણાજી પુલ પર લોકોની ભીડ જામતાં આયોજકોને વ્યવસ્થા જાળવવામાં દોડધામ કરવી પડી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd