ભુજ, તા. 27 : આગામી 20મી જુલાઇ મુલકનો મેકઓવર થીમ સાથે 79મે જન્મદિવસ ઊજવવા જઇ રહેલા કચ્છમિત્ર દ્વારા
ગુરુવારે આષાઢી બીજની પૂર્વસંધ્યાએ અંકિત ત્રિવેદીની ઉપસ્થિતિમાં કચ્છી ગાયિકા નિશા
કાપડિયા ઉપાધ્યાય અને દેવર્ષિ સોનેજીની સુરીલી ગાયકી અને સાથી કલાકારોના સંગીતના સથવારે
ભુજના ટાઉનહોલને સાત સૂરોનું સરમાનું મળી ગયું હતું. - જ્ઞાન સાંકળ : આ કાર્યક્રમમાં
કચ્છમિત્ર તથા બૃહદ કચ્છમાં ફેલાયેલા વાચકોને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ સાથે સાચી માહિતી
પીરસી રહ્યું છે એ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ હાથમાં હાથ પકડીને `નોલેજ ચેઇન' દ્વારા કચ્છમિત્રના પ્રયાસો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. - મોજથી ગીતો માણ્યાં : કાર્યક્રમ માણવા જિલ્લા મથક ઉપરાંત કચ્છભરમાંથી
પ્રેક્ષકો ઊમટી પડયા હતા. લગભગ 1400થી વધુ
પ્રેક્ષકોની હાજરીએ વિક્રમ રચ્યો હતો. તેમનો રસ જળવાય એ હેતુથી મહેમાનોના પ્રવચનની
ઔપચારિકતા પણ રાખવામાં આવી નહોતી. સૌએ ત્રણ કલાક સુધી લોકપ્રિય ગુજરાતી ગીતો સાંભળ્યાં...
સાથે ગણગણ્યાં... ને કવિ અંકિતના શબ્દોમાં... મોજથી માણ્યાં... - ગ્રીન એનર્જી માટે કચ્છમિત્રની પ્રતિબદ્ધતા
: પ્રારંભે મહેમાનો અને ઉપસ્થિત દર્શકોને
આવકારતાં કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડે કહ્યું હતું કે, આષાઢી બીજ કચ્છી નવું વર્ષ છે,
તો 20મી જુલાઇ કચ્છના ભાગ્યોદયનું વર્ષ છે. તેમણે કચ્છમિત્રનાં વિવિધ સામાજિક કાર્યો પર પ્રકાશ ફેંકી
આ માટે સતત માર્ગદર્શન આપતા ઊર્જાવાન યુવા મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા, ટ્રસ્ટી સંજયભાઇ એન્કરવાલા,
પ્રણવભાઇ અદાણી તથા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના
અન્ય ટ્રસ્ટીઓ વતી કચ્છના લોકોને શુભેચ્છા પાઠવી હતી. ગ્રીન એનર્જી અંગે જાગરૂકતા આણવા
કચ્છમિત્ર ખુદ સોલાર પ્લાન્ટ લગાવવા જઇ રહ્યું હોવાની માહિતી આપી હતી. તેમણે 79મા વર્ષ પ્રવેશે વિશેષ પૂર્તિની થીમ મુલકના
મેકઓવરમાં કયા કયા વિષયો પર ખેડાણ થશે તે વિશે પ્રકાશ પાડયો હતો. મહાનુભાવો આ પ્રસંગે
ઉપસ્થિત રહેલા સાંસદ વિનોદભાઇ ચાવડા,
ધારાસભ્ય કેશુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, પશ્ચિમ
કચ્છ એસ.પી. વિકાસભાઇ સુંડા, એગ્રોસેલના ચૈનન્યભાઇ શ્રોફ,
શ્રીરામ ગ્રુપના વિનોદભાઇ સોલંકી, ઉદ્યોગપતિ મનોજભાઇ સોલંકી,
કચ્છ યુનિ.ના કુલપતિ મોહનભાઇ પટેલ, ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, પ્રાંત અધિકારી અનિલભાઇ જાદવ,
લોહાણા સમાજના પ્રમુખ ડો. મુકેશ ચંદેનું
પુસ્તક આપી સન્માન કરાયું હતું અને ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોએ એકમેકના હાથ પકડી જ્ઞાનની
સાંકળ રચી હતી, જેને પ્રેક્ષકોએ વધાવી લીધી હતી. સંચાલનના
દોર પછી મંચ પર સંગીતના સૂરોને ટાઉનહોલનું સરનામું બનાવતાં જાણીતા કવિ અંકિત ત્રિવેદીએ
કચ્છી ગાયિકા નિશા કાપડિયા સંગે કાર્યક્રમનો દોર સંભાળી લીધો હતો. નિશા કાપડિયા અને
દેવર્ષિ સોનેજીએ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ગીત શરૂ કરી હુતુતુતુ જેવા લોકપ્રિય ગીત
સુધી સળંગ બે કલાક સુધી ટાઉનહોલને સૂરથી છલકાવી દીધો હતો. કાર્યક્રમ દરમ્યાન હરીન્દ્ર
દવે, વેણીભાઇ પુરોહિત, અવિનાશ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય સહિતના દિગ્ગજ સર્જકોની રચનાને પ્રેક્ષકોએ દાદ આપી
હતી. તો મહમ્મદ રફી, અવિનાશ વ્યાસના વિશેષ ગુલદસ્તાને લોકોએ
તાળીઓ ગડગડાટથી વધાવી લીધા હતા. આ બે કલાક દરમ્યાન કવિ અંકિત ત્રિવેદીએ પોતાની આગવી
શૈલી અને સેટાયર અંદાજમાં કાર્યક્રમનો દોર
ચલાવ્યો હતો. તેમની ટીમમાં કી-બોર્ડ પર મયૂર દવે, ફ્લૂટ
પર કચ્છી કલાકાર સારંગ અધિકારી, તબલાં પર બલ્લુ સિંઘા, ઢોલક પર દિવ્યેશ પરીખ અને ઓક્ટોપેડ પર મિતેશ દેસાઇએ રંગત સૂર અને તાલના
સથવારે પ્રેક્ષકોને ડોલાવ્યા હતા. અન્ય ગાયિકા આનલ વસાવડા સ્વાસ્થ્ય કારણોસર હાજર રહી
શક્યા નહોતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને કવિ અંકિત ત્રિવેદીનો પરિચય પૂજા કશ્યપે
આપ્યો હતો. કાર્યક્રમ અંતિમ તબક્કે હતો ને બહાર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. અહીં
એ નોંધનીય છે કે, મસ્કતમાં ગુજરાતી સમાજની સુવર્ણ જયંતી નિમિત્તે
ઉજવણીમાં કચ્છમિત્ર-સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા પણ અંકિત ત્રિવેદીના સંગીત કાર્યક્રમનું
આયોજન થયું હતું, એ પછી ભુજમાં આ સોગાદ પેશ કરી.- અંકિત ત્રિવેદીએ કચ્છમિત્રની પ્રશંસા કરી : સાત સૂરોનાં સરનામે કાર્યક્રમનું સંચાલન
કરતાં કવિ અંકિત ત્રિવેદીએ કચ્છના લોકોને લીલાછમ વંદન કર્યાં હતાં. તેમણે પોતાના સંચાલનમાં
કચ્છમિત્રને પણ વખાણ્યું હતું. તેમણે કહ્યું કે, કચ્છમિત્રની
હયાતીથી કચ્છીઓની સવાર પડે છે. તેમણે સચોટ અને સત્યનિષ્ઠ સમાચારો માટે કચ્છમિત્રને
વખાણતાં કહ્યું કે, દેશ-વિદેશના કચ્છી વાચકોની લાગણીનો પડઘો
કચ્છમિત્ર પાડે છે. તેમણે આવાં સુરીલા કાર્યક્રમનાં આયોજન બદલ યુવા મેનેજિંગ ટ્રસ્ટી
હાર્દિકભાઇ મામણિયા અને ટ્રસ્ટી મંડળના સભ્યો તેમજ કચ્છમિત્ર ટીમનો જાહેરમાં આભાર માન્યો
હતો. - નિશા કાપડિયાના સૂરો વહી ઊઠયા... ને શ્રોતાઓ
મંત્રમુગ્ધ : એક બાજુ
ટાઉનહોલમાં સંગીતના સૂરો વરસી રહ્યા હતા. બહાર કચ્છનો માનવંતો મેઘો ધરતીને પલાળી રહ્યો
હતો. આવા રંગીન માહોલમાં કચ્છી ગાયિકા નિશા કાપડિયાએ સૂરોનો સાગર વહેતો કરી નાખ્યો
હતો. આ ટાઉનહોલમાં હું નાની હતી ત્યારથી પરફોર્મ કરું છું અને ઘણી વખત તેની કાયાપલટ
થઈ છે અને એ પછી મેં અહીં કાર્યક્રમો રજૂ કર્યા છે. ઘરઆંગણે આવી છું એવું કહીને નિશાબેને
દિગ્ગજ સંગીતકારો અને સંવેદનશીલ કવિઓની રચના રીતસરની વહાવી દીધી હતી એ સાંભળીને દર્શકો
પણ વાહ વાહ પોકારી ઊઠયા હતા. - મણિયારોથી
છવાઇ ગયા દેવર્ષિ સોનેજી : સુરીલા
અને હલકદાર કંઠ ધરાવતા દેવર્ષિ સોનેજીએ વિવિધ ગુજરાતી રચના રજૂ કરી લોકોને બાંધી રાખ્યા
હતા, તેમાં પણ મણિયારોની રજૂઆત એટલી જોરદાર હતી કે, લોકો રીતસરના ડોલી ઊઠયા હતા. તેમણે મહમ્મદ રફીના લોકપ્રિય ગીતોનો ગુલદસ્તો
રજૂ કરી લોકોની દાદ મેળવી હતી.